અમદાવાદ, રવિવાર
શહેરમા મિરઝાપુરમાં રહેતા બિલાલ બેલીમ નામની યુવકની હત્યાના મામલે અબ્દુલ કરીમ પઠાણ અને મોહસીન પઠાણ, ઇમરાન પઠાણ અને વસીમ પઠાણ નામના તેના ત્રણ પુત્રોની શાહપુર પોલીસે ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા. આરોપીઓએ ધંધાકીય અદાવત રાખીને બિલાલની અઢી વર્ષ પહેલા છરીના 40થી વધારે ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડીને હત્યા કરી હતી. મિરઝાપુરના ચકચારી કેસના આરોપીઓએ સાબરમતી જેલમાંથી ફરિયાદીને ફોન કરીને આડકતરી ધમકી આપીને સમાધાન માટે દબાણ કર્યું હતું. તેમજ કેટલાંક આરોપીઓએ જામીન પર છુટીને પણ મામલો બીચકાવવા માટે પ્રયાસ કર્યો હતો.
આમ, આ કેસમાં તમામ આરોપીઓની જામીન અરજી સેશન્સ કોર્ટથી માંડીને ગુજરાત હાઇકોર્ટમાં અગાઉ અનેકવાર ના મંજૂર કરવામાં આવી હતી. ત્યારે અબ્દુલ કરીમ પઠાણે મેડીકલ ગ્રાઉન્ડ પર જામીન અરજી કરી હતી. પરંતુ, જેલ સત્તાવાળાઓ દ્વારા યોગ્ય સારવાર મળતી હોવા ઉપરાંત, અગાઉ મેડીકલ ગ્રાઉન્ડ પર લીધેલા જામીનને લઇને પણ કોર્ટમાં સવાલ ઉભા થતા જામીન અરજી ખેંચવામાં આવી હતી.
જ્યારે તેમના પુત્ર ઇમરાન પઠાણના ઘરે આર્થિક મદદ માટે જામીન અરજી કરી હતી. પરંતુ, આરોપીએ અગાઉ જામીન પર આવીને ફરિયાદીને ધમકી આપી હતી. આમ, તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન અરજી નકારી હતી. તેમજ હાલની ઘરની સ્થિતિ અંગે આરોપી દ્વારા કોર્ટમાં યોગ્ય રજૂઆત થઇ શકી નહોતી.


















