![]()
વડોદરાઃ ૨૦૨૪માં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીને ઉંડી અને પહોળી કરવાની કામગીરી કરવામાં આવી છે.એ પછી વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરોના વર્તનમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ તે જાણવા માટેનો એક સર્વે એમ.એસ.યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે.
સંશોધનના ભાગરુપે ઝૂઓલોજી વિભાગના ૩૦ વિદ્યાર્થીઓ, એનજીઓના ૧૦ સ્વયંસેવકો તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ૧૦ કર્મચારીઓ તા.૭ ફેબુ્રઆરીએ સવારે અને રાત્રે એમ બે તબક્કામાં હાથ ધનારા સર્વેમાં સામેલ થશે.સર્વેમાં દેણાથી લઈને તલસટ સુધી ૧૭ કિલોમીટરના વિસ્તારમાં શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને આવરી લેવામાં આવશે.
વિભાગના વરિષ્ઠ અધ્યાપક પ્રો.રણજિતસિંહ દેવકરનું કહેવું છે કે, મગરોની વસતી ગણતરી આમ તો ગયા વર્ષે જ હાથ ધરાઈ હતી પણ અમારા વિભાગના વિદ્યાર્થીઓ જંગલ ખાતા અને એનજીઓની મદદથી વિશ્વામિત્રી નદીના કિનારા પહોળા થયા બાદ તેમાં રહેતા મગરોની વર્તણૂંકમાં શું ફેરફાર થયા, તેમને તડકો ખાવા માટેના બાસ્કિંગ પોઈન્ટ વધ્યા કે નહીં તેનો અભ્યાસ કરવા માટે સર્વે હાથ ધરશે.સાથે સાથે મગરોની વસતી ગણતરી પણ થશે.લગભગ ૧૫ થી ૨૦ દિવસમાં તમામ ડેટાનું એનાલિસિસ કરીને એક અહેવાલ તૈયાર કરાશે.
નદી પહોળી થવાથી મગરોને ફાયદો, બાસ્કિંગ પોઈન્ટ વધ્યા
પ્રોફેસર દેવકરનું કહેવું છે કે, વિશ્વામિત્રી નદીને પહોળી અને ઉંડી કરવાની કામગીરી દરમિયાન કોઈ મગરને નુકસાન થયું હોય તેવું તો અમારા ધ્યાનમાં આવ્યું નથી.પ્રાથમિક તબક્કે એવું લાગે છે કે, આ કામગીરીના કારણે કિનારા પરના ઝાડી ઝાંખરા દૂર થવાથી મગર માટે તડકો ખાવાના સ્થળો એટલે કે બાસ્કિંગ પોઈન્ટ વધ્યા છે.આમ મગરો માટે તો નદી પહોળી કરવાની કામગીરી ફાયદારુપ બની હોય તેવી પણ શક્યતાઓ છે.















