![]()
મુંબઈ : ટેકસટાઈલ્સ સહિતના કેટલાક ક્ષેત્રો માટે યુરોપિયન યુનિયને પોતાની જનરલાઈઝડ સ્કીમ ઓફ પ્રેફરન્સિસ (જીએસપી) હેઠળના લાભો ૧લી જાન્યુઆરીથી સસ્પેન્ડ કરી દેતા ૨૭ દેશોના યુરોપ સંઘ ખાતે ભારતની નિકાસ પર અસર પડી શકે છે એવો મત પ્રવર્તી રહ્યો છે.
ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા ૫૦ ટકા ટેરિફને પરિણામે ભારતના નિકાસકારો આમપણ દબાણ હેઠળ આવી ગયા છે ત્યારે યુરોપના નિર્ણયથી વિદેશ વેપારને વધુ ફટકો પડવાની ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ દ્વારા ચિંતા વ્યકત કરવામાં આવી છે.
જીએસપી હેઠળ ભારતના નિકાસકારોને મોસ્ટ ફેવર્ડ નેશન્સને ઓફર કરાતા ડયૂટી દર કરતા પણ નીચા દર ઓફર કરવામાં આવે છે. મોસ્ટ ફેવર્ડ નેશન્સ પાસેથી વીસ ટકા સુધીની ડયૂટી લેવામાં આવે છે.
આ નિર્ણયથી યુરોપ ખાતે ભારતની ૮૭ ટકા નિકાસ પર ઊંચી ડયૂટી લાગુ થશે જ્યારે માત્ર ૧૩ ટકા પ્રોડકટસને જ નીચા ટેરિફનો લાભ મળશે. આ પ્રોડકટસમાં કૃષિ તથા લેધર ગુડસનો મુખ્યત્વે સમાવેશ થાય છે. જીએસપી હેઠળ એપરલ પર ૯.૬૦ ટકા ડયૂટી લાગુ કરાતી હતી તે હવે વધી ૧૨ ટકા થઈ ગઈ છે.
૧લી જાન્યુઆરીથી યુરોપ ખાતેની નિકાસમાં અસર પડી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જે ક્ષેત્રોની નિકાસ પર અસર પડી છે તેમાં ટેકસટાઈલ ઉપરાંત મિનરલ્સ, રબર, પ્લાસ્ટિકસ, કેમિકલ્સ, સ્ટીલ, ઈલેકટ્રીકલ ગુડસનો મુખ્યત્વે સમાવેશ થાય છે. કોઈ પ્રોડકટસની નિકાસ સતત ત્રણ વર્ષ સુધી નિશ્ચિત મર્યાદા કરતા વધુ થાય તો તેવા પ્રોડકટસને ડયૂટીના લાભો અટકાવી દેવામાં આવે છે.
જો કે યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે મુકત વેપાર કરાર થવાની તૈયારીમાં છે ત્યારે આ નિર્ણયની કેવી અસર પડશે તે તો કરારની જોગવાઈઓ પરથી જ જાણી શકાશે એમ નિકાસકારે વધુમાં જણાવ્યું હતું. ડયૂટી કન્સેસન નાબુદ કરવા અંગેનો નિર્ણય યુરોપ દ્વારા ગયા વર્ષના સપ્ટેમ્બરમાં લેવાયો હતો.
















