![]()
|
પ્રતિકાત્મક તસવીર |
Ajay Modi Travels News : અમદાવાદમાં પ્રખ્યાત ટ્રાવેલ્સ એજન્સી અજય મોદીમાં કમિશન બેઝ પર ગાંધીનગરમાં કામ કરતી મહિલાએ કસ્ટમર સાથે 33.87 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. આરોપી મહિલાએ પોતાના બેંક ખાતામાં સેટિંગ કર્યું હતું. જેમાં કસ્ટમર જ્યારે પેમેન્ટ કરવા QR કોડ સ્કેન કરે ત્યારે નામ ‘અજય મોદી ટ્રાવેલ્સ’નું જ દેખાતું હતું, પરંતુ રૂપિયા સીધા મહિલાંના ખાતામાં જમા થતા હતા. આ રીતે મહિલાએ કુલ 33,87,184ની છેતરપિંડી કરી હોવાની સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ચોપડે ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટના અંગે વસ્ત્રાપુરમાં રહેતા 46 વર્ષીય આલાપભાઇ અજયભાઇ મોદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ અજય મોદી ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે. જેમાં ગત વર્ષ 2022માં આરોપી ઉન્નતિ વૈભવભાઇ પટેલ તેમના સંપર્કમાં આવી હતી અને તેને ફ્રેન્ચાઇઝી માંગી હતી. જોકે, કંપની ફ્રેન્ચાઇઝી આપતી ન હોવાથી માત્ર કમિશન બેઝ પર બુકિંગ આપવાનું નક્કી થયું હતું. છેલ્લા ત્રણ વર્ષથી આ રીતે કામ ચાલતું હતું. પરંતુ મહિલાએ આ વિશ્વાસનો દુરુપયોગ કરી કંપનીના નામે રૂપિયા પોતાના ખાતામાં લેવાનું શરૂ કર્યું હતું.
આરોપી મહિલા ઉન્નતિ પટેલે ગાંધીનગરના કુડાસણ ખાતે એક્સિસ બેંકમાં ઉન્નતિ એન્ટરપ્રાઇઝના નામે ખાતું ખોલાવ્યું હતું. તેણે બેંકના QR કોડમાં એવી ગોઠવણ કરી હતી કે કસ્ટમર સ્કેન કરે ત્યારે નામ અજય મોદી ટ્રાવેલ્સ ડિસ્પ્લે થાય. ગ્રાહકો ફ્લાઇટ બુકિંગના નામે જે રૂપિયા ચૂકવતા તે આલાપભાઇને મળવાને બદલે ઉન્નતિના ખાતામાં જતા હતા. આ સમગ્ર કૌભાંડની જાણ ત્યારે થઈ જ્યારે ફ્લાઇટ્સ રદ થવાને કારણે કસ્ટમરોએ આલાપભાઇ પાસે રિફંડ માંગ્યું. તપાસ કરતા જાણવા મળ્યું કે લાખો રૂપિયા ઉન્નતિએ તેના ખાતામાં લીધા છે. જોકે, કસ્ટમર સામે કંપનીની શાખ બચાવવા આલાપભાઇએ પોતાના ખિસ્સામાંથી કસ્ટમરને રૂપિયા ચૂકવી દીધા છે અને હવે પોલીસ ફરિયાદ બાદ ઉન્નતિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.















