![]()
Ahmedabad News: અમદાવાદના શીલજ વિસ્તારમાં એસ.પી. રિંગ રોડને અડીને આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને બોડકદેવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકના શરીર પર કોઈ દેખીતા ઈજાના નિશાન મળી આવ્યા નથી, જેના કારણે મોતનું કારણ વધુ રહસ્યમય બન્યું છે.
ચોંકાવનારી પ્રત્યક્ષદર્શીની જુબાની
આ ઘટનામાં એક પ્રત્યક્ષદર્શી બાલાભાઈ વાલ્મીકિએ અત્યંત ગંભીર દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, બપોરે 11 વાગ્યાની આસપાસ એક રિક્ષામાં ડ્રાઈવર સહિત ચાર શખ્સો આવ્યા હતા. આ શખ્સોએ યુવકને કંઈક સૂંઘાડીને પ્લોટમાં ફેંકી દીધો હતો અને ત્યારબાદ રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : જમૈકાના ઐતિહાસિક ઑલ્ડ-હાર્બરની મુલાકાતે જયશંકર : ત્યાં રહેલા ભારતવંશીઓને પ્રેમથી મળ્યા
પોલીસ તપાસ તેજ
બોડકદેવ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. શું આ કોઈ હત્યા છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ અને રિક્ષાના નંબરના આધારે શંકાસ્પદ શખ્સોની શોધખોળ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. જો કે યુવકની ઓળખ કરવી પણ પોલીસ માટે પડકાર છે. કારણ કે તેનાં કપડામાંથી પણ ઓળખ થઇ શકે તેવી કોઇ વસ્તું મળી નથી. માત્ર તેના હાથ પર ખોડલરાજ લખેલું ટેટુંનાં આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે.















