![]()
વડોદરાઃ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદથી ટેક ઓફ થયા બાદ થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ હતી અને તેમાં સવાર ૨૪૧ લોકોના મોત થયા હતા.આ પૈકી ૨૮ હતભાગી મુસાફરો વડોદરા શહેર- જિલ્લાના હતા.દેશભરમાં હાહાકાર મચાવનાર આ કરુણાંતિકાને ૧૨ જૂન, શુક્રવારે એક વર્ષ થશે.
મોતને ભેટનારાઓમાં શહેરના વાડી શાસ્ત્રીબાગ પાસે રહેતા અને વાઘોડિયા રોડ પર પ્રોવિઝન સ્ટોર ચલાવતા મુકેશ મહેશ્વરીના પુત્ર ભાવિકનો પણ સમાવેશ થતો હતો.ભાવિકનુ આ દુર્ઘટનામાં મોત થયું તેના બે જ દિવસ પહેલા તેણે કોર્ટ મેરેજ કર્યા હતા.ભાવિકના માતા પિતા આજે પણ દીકરાના મોતના આઘાતને પચાવી શક્યા નથી.મુકેશભાઈએ કહ્યું હતું કે, ભાવિકના મોત બાદ ૧.૨૫ કરોડ રુપિયા વળતર તરીકે મળ્યા છે પણ પૈસા તો ઠીક છે, અમે અમારો આધાર સ્તંભ ગુમાવ્યો છે.સરકારને એટલી જ અપીલ છે કે, દુર્ઘટનાનું સાચુ કારણ શોધીને જાહેર કરે અને જવાબદારને સજા આપે.ભાવિક પાંચ વર્ષથી લંડન રહેતો હતો અને પરિવારને મળવા માટે અને ખાસ કરીને તેના ભાઈને મળવા માટે આવ્યો હતો.બીજા માટે દુર્ઘટનાને એક વર્ષ પૂરુ થયું હશે પણ અમારા માટે તો દરેક દિવસ એક વર્ષ જેવો જાય છે.અમારા માટે ૧૨નો આંકડો હંમેશા માટે અપશુકનિયાળ રહેશે.દીકરાના નિધનને એક વર્ષ પૂરુ થઈ રહ્યું હોવાથી અમે સુંદરકાંડનો પાઠ રાખ્યો છે.















