Amit Khunt Suicide Case Co-Accused Accident Death: રાજકોટ જિલ્લાના ગોંડલની બાજુમાં આવેલા શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે ‘દાવત બેવરેજીસ’ પાસે સર્જાયેલા ભયંકર અકસ્માત બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. સાસણથી મિત્રો સાથે હરી-ફરીને પરત ફરી રહેલી અમિત ખૂંટ આપઘાત કેસની સહ આરોપી 25 વર્ષીય પૂજા રાજગોરનું મોત નીપજ્યું છે. આ અકસ્માત કાર વૃક્ષ સાથે અથડાતા સર્જાયો છે, માત્ર એક ‘અકસ્માત’ છે કે પછી તેની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે? પૂજાની પ્રોફાઇલ અને ઘટનાના ક્રોનોલોજી પર નજર નાખતા જ અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
અમિત ખૂંટ આપઘાત કેસની કડી અને પૂજાનું કનેક્શન
આ અકસ્માતમાં સૌથી મોટો અને સ્ફોટક ખુલાસો એ થયો છે કે, જીવ ગુમાવનાર પૂજા રાજગોર રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસની સહ-આરોપી હતી. અમિત ખૂંટના આપઘાત કેસ સાથે જોડાયેલા તાર અને પૂજાનું અચાનક આ રીતે અકસ્માતમાં મોત થવું, શું માત્ર એક સંયોગ હોઈ શકે?

મોતની 21 કલાક પહેલાની એ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીનું રહસ્ય શું?
પૂજાના મોતને વધુ શંકાના દાયરામાં લાવતી બાબત એ છે કે, અકસ્માતના માત્ર 21 કલાક પહેલા જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક અજાણ્યા પુરુષ સાથે ‘કપલ ફોટો’ સ્ટોરીમાં શેર કર્યો હતો. એ અજાણ્યો પુરુષ કોણ હતો? શું તે પણ આ કારમાં સવાર હતો? એવું તે શું બન્યું કે કાર સીધી વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ?
પૂજા રાજગોરનો અકસ્માત કે કોઈ મોટું કાવતરું?
અકસ્માતમાં કાર સવાર અન્ય 4 લોકો (જેમાં 5 વર્ષની બાળકી પણ સામેલ છે) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને રાજકોટ રિફર કરાયા છે, પરંતુ પૂજાનું મોત નીપજ્યું. શું આ અકસ્માત પૂજાને રસ્તામાંથી હટાવવા માટે પ્રિ-પ્લાન્ડ હતો? પૂજાના મોત સાથે અમિત ખૂંટ આપઘાત કેસના ઘણા રાઝ હંમેશા માટે દફન થઈ ગયા છે.

પૂજાએ પોલીસ સામે દબાણનો આરોપ કરતી ફરિયાદ કરી હતી
મહત્વનું છે કે બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં, અમિત ખૂંટે આપઘાત કરતા પહેલાં પૂજા રાજગોર સામે ગંભીર આરોપ કર્યા હતા. હનીટ્રેપ અંગે ખુલાસો થયો હતો, જેના આધારે પૂજા રાજગોર સહિત અન્ય આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી થઈ હતી. જે બાદ પૂજાએ દબાણના આરોપ મૂકી કોર્ટ થકી પોલીસ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. અને તપાસ SMCને સોંપવામાં આવે તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં 226 કરોડના ‘ડર્ટી ક્રિપ્ટો’ નેટવર્કનો પર્દાફાશ, ટેરર ફંડિંગ અને ડ્રગ્સની હેરાફેરીના કનેક્શન ખૂલ્યા
પોલીસ તપાસ પર મંડાયેલી નજર
ગોંડલ તાલુકા પોલીસે પૂજા મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ કેસ સામાન્ય અકસ્માતનો નથી રહ્યો. પૂજાનો વિવાદિત ભૂતકાળ અને મોત પહેલાની તેની સોશિયલ મીડિયા એક્ટિવિટી ચીસો પાડીને કહી રહી છે કે આ અકસ્માતની પાછળ કોઈ ઊંડી અને ચોંકાવનારી વાર્તા છુપાયેલી છે.















