![]()
વિશ્વમાં અંદાજે 17 કરોડ અજોડ ગ્રંથો, વર્ષે 22 લાખ નવા પ્રકાશનો : મોબાઈલ-કોમ્પ્યુટરમાં પૂસ્તક જેવી સગવડ,નિર્દોષતા નહીં હોવાથી આજે પણ છપાયેલાનું વાંચન લોકપ્રિય
રાજકોટ, : આવતીકાલ તા. 23 એપ્રિલ 2026ના વિશ્વ પૂસ્તક દિવસ કે જે વર્લ્ડ બૂક એન્ડ કોપીરાઈટ ડે તરીકે પણ ઓળખાય છે તેની ભારત સહિત વિશ્વભરમાં ઉજવણી થશે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાં જ્યારે અનેક સંપ્રદાયો,ધર્મનો ઉદય ન્હોતો થયો તે વખતના પ્રાચીન વિજ્ઞાાન,સંસ્કૃતિને ઉજાગર કરતા દિવ્ય ગ્રંથ ઋગ્વેદનું નામ અગ્રસ્થાને રહ્યું છે.
કૂલ 1028 મંત્રો ધરાવતા ઋગ્વેદ આશરે 4500 વર્ષ પૂર્વે લખાયાનું જાણકારો કહે છે. આ ઉપરાંત વિશ્વના વિવિધસૂત્રો પ્રાચીન સૌથી જુના પૂસ્તકોમાં (1) એપીક ઓફ ગિલગામેશ (સુમેરિયન 4100 વર્ષ પૂર્વે), (2) ડાયમન્ડ સુત્ર ( ચીનના તાંગ સામ્રાજ્યમાં 868 માં છપાયેલ પૂસ્તક) (3) એટ્રુસ્કાન ગોલ્ડ બૂક (660 બી.સી.) (4) સૌથી જુની નોવેલમાં ટેલ ઓફ જેનજી (જાપાનમાં 11મી સદી) વગેરે ગણાવાય છે.
ગુગલના અગાઉના અભ્યાસ મૂજબ વિશ્વમાં 12,98,64,880 પૂસ્તકો હતા,આજે અંદાજે 17 કરોડ અજોડ ગ્રંથો હોવાનો અંદાજ છે. વર્ષે અંદાજે 22 લાખ પૂસ્તકો પ્રકાશિત થાય છે.
જ્ઞાાનના અદ્ભૂત ભંડાર સાથે આજે પણ ઉપયોગી ભારતનો પ્રાચીન ગ્રંથ વારસો લખવા માટે પણ એક ગ્રંથ લખવો પડે એટલી મોટી સંખ્યામાં છે. જેમ કે (1) પૃથ્વીની ઉત્પતિ સાથે શ્રુતિથી મૌખિક રહેલા અને બાદ ગ્રંથમાં ફેરવાયેલા ચાર વેદ (૨) ૨૫૦૦ વર્ષ પૂર્વે વાલ્મિકી રામાયણ અને મહર્ષિ વેદવ્યાસે લખેલા મહાભારત કે જેને મહાકાવ્ય નહીં પણ કાવ્યસ્વરૂપે લખાયેલા ઈતિહાસ ગણાય છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાભારતનો જ ભાગ છે (૩) 2300 વર્ષ પૂર્વે કૌટિલ્ય અર્થાત્ ચાણક્યનું અર્થશાસ્ત્ર (4) 2000 થી 2500 વર્ષ પૂર્વે મહર્ષિ પતંજલિ રચિત યોગસૂત્ર જેમાં આપેલી યોગવિધિ આજે પણ વિશ્વભરના યોગપ્રેમીઓને આકર્ષે છે અને ધ્યાન માટે ભગવાન શિવે યુગો પૂર્વે પાર્વતીને કહેલ અદ્ભૂત યોગસૂત્ર (5) 2000 વર્ષ પૂર્વે જૈનોના પ્રથમ આગમ, ઉપરાંત કલ્પસૂત્ર, તત્વાર્થ સૂત્ર એમ યાદી ઘણી લાંબી છે.
આજે સ્માર્ટ ફોન અને કોમ્પ્યુટરના ઘરે ઘરે પ્રસરેલા ચલણમાં પણ પૂસ્તકો કોઈ પણ સ્થળે શાંતિથી વાંચી સાથે વિચાર-મંથન કરી શકાય,બેટરી-નેટવર્કની જરૂર નહીં તેમજ આંખને નુક્શાન નહીં વગેરે વિશેષતાના કારણે આજે પણ લોકપ્રિય છે.















