![]()
– નીટ-યુજી ફેરપરીક્ષા માટે નાગપુરના વિદ્યાર્થીને યુએઈમાં સેન્ટર
– NTAએ ટેક્નિકલ ખામીનો દાવો કર્યો બાદ વિદ્યાર્થીની ભૂલ હોવાનું જણાવ્યુંઃ છેવટે નાગપુરમાં જ કેન્દ્ર ફાળવાયું
મુંબઈ : નીટની ફેરપરીક્ષાનો એક ગજબનો કિસ્સો શનિવારે જાણવા મળ્યો છે. જેણે ફરી પરીક્ષા પ્રક્રિયા સામે પ્રશ્નો ઊભા કર્યા છે. નાગપુરના ૧૮ વર્ષીય નીટ-યુજી ઉમેદવાર અબ્દુલ્લા મહંમદ તાલિબને પુનર્પરીક્ષા માટે આપવામાં આવેલા એડમિટ કાર્ડમાં પરીક્ષા કેન્દ્ર તરીકે અચાનક અબુ ધાબી (યુએઈ) દર્શાવવામાં આવતા ભારે ગૂંચવણ સર્જાઈ હતી.
૨૧ જૂને યોજાનારી પુનઃપરીક્ષાના એક દિવસ પહેલાં આ ભૂલ સામે આવતા વિદ્યાર્થી અને તેના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે આ મુદ્દે એનટીએએ ટેક્નિકલ ખામી હોવાનું પહેલાં દર્શાવ્યું હતું. પરંતુ બાદમાં સ્પષ્ટતા કરીને જણાવ્યું હતું કે તેમાં વિદ્યાર્થીની જ ભૂલ હતી.
અબ્દુલ્લાએ ફોર્મ ભરતી વખતે મહારાષ્ટ્રના કેન્દ્રો પસંદ કર્યા હતા, છતાં એડમિટ કાર્ડમાં વિદેશી કેન્દ્ર દર્શાવવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે તેની પાસે પાસપોર્ટ પણ નથી, જેના કારણે અબુ ધાબી જઈને પરીક્ષા આપવી શક્ય જ નહોતી, એવું પરિવારજનોએ જણાવી આ બાબત અંગે તરત જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)નો સંપર્ક કર્યો હતો.
પ્રકરણ સામે આવતાં પહેલાં તો એનટીએએ આને ટેક્નિકલ ખામી ગણાવી પોતાની ભૂલ સ્વીકારી હતી. એજન્સીએ જણાવ્યું કે, એડમિટ કાર્ડ જનરેશન પ્રક્રિયા દરમિયાન થયેલી તકનીકી ગરબડને કારણે ખોટું કેન્દ્ર ફાળવાયું હતું અને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. એમ કહી તુરંત જ વિદ્યાર્થીને નાગપુરનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું.
જોકે ત્યારબાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ નાગપુરના નીટ-યુજી ઉમેદવાર અબ્દુલ્લા મહંમદ તાલિબને અબુ ધાબી પરીક્ષા કેન્દ્રની ફાળવણીના વિવાદ અંગે નવી સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ઉમેદવારે પોતાના લોગિન દ્વારા જ પરીક્ષા કેન્દ્ર તરીકે અબુ ધાબીની પસંદગી કરી હતી અને અરજી પ્રક્રિયા દરમિયાન આ વિકલ્પમાં ફેરફાર પણ કરવામાં આવ્યો હતો. એજન્સીએ આ મામલાને ટેકનિકલ ખામી ગણાવવાના પોતાના જ અહેવાલોને નકારી કાઢયા હતા.
એનટીએએ જણાવ્યું હતું કે, તેના રેકોર્ડ મુજબ ઉમેદવારે કેન્દ્રની વિગતો બે વખત જોેઈ હતી અને એક વખત તેમાં ફેરફાર પણ કર્યો હતો. અંતિમ સબમિશન સમયે અબુ ધાબી કેન્દ્ર પસંદ કરવામાં આવ્યું હોવાનું ડિજિટલ રેકોર્ડ દર્શાવે છે. તેથી પરીક્ષા કેન્દ્રની ફાળવણીમાં એજન્સીની કોઈ તકનીકી ભૂલ થઈ ન હોવાનું એનટીએએ સ્પષ્ટ કર્યું હતું.
આ સમગ્ર ઘટનાએ નીટ પરીક્ષા વ્યવસ્થાને લઈને ફરી ચર્ચા જગાવી છે. અગાઉ આ મામલાને ટેકનિકલ ગડબડ ગણાવતા અહેવાલો સામે આવ્યા હતા, પરંતુ એનટીએની નવી સ્પષ્ટતા બાદ જવાબદારી અંગે વિવાદ ઊભો થયો છે. પરીક્ષાની પારદશતા અને કેન્દ્ર ફાળવણી પ્રક્રિયાને લઈને હવે વિવિધ સ્તરે ચર્ચા ચાલી રહી છે.















