![]()
HC Orders Salary Cut of Army Chief and Defense Secretary | પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ભારતીય સેનાના નિવૃત્ત મેજરની પેન્શનના મામલે એક ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે આદેશના અનાદર બદલ સેના પ્રમુખ અને સંરક્ષણ સચિવ પર દંડ ફટકારીને તેમની સેલેરી કાપવાનો આદેશ આપ્યો છે.
જાણો શું છે મામલો?
હાઈકોર્ટે નિવૃત્ત મેજર રાજદીપ દિનકર પાંડેરની પેન્શન અરજી પર યોગ્ય કાર્યવાહી ન કરવા બદલ સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંઘ પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ રકમ બંને અધિકારીઓના પગારમાંથી કાપીને અરજદાર (નિવૃત્ત મેજર) ને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ચૂકવવામાં આવે.
મેજરની સંઘર્ષગાથા અને બીમારી
સેવા અને પોસ્ટિંગ: પુણેના રહેવાસી મેજર રાજદીપ પાંડેર 2012 માં ભારતીય સેનામાં જોડાયા ત્યારે સંપૂર્ણ ફિટ હતા. લદ્દાખ જેવા ઉંચાઈવાળા વિસ્તારોમાં પોસ્ટિંગ દરમિયાન તેઓ બીમાર પડ્યા હતા.
તબીબી સ્થિતિ: પાંચ વર્ષની સેવા બાદ તેમને ‘સિસ્ટાઇટિસ સિસ્ટિકા ગ્લેન્ડ્યુલરિસ’ નામની ગંભીર બીમારી થઈ, જેના કારણે તેમને 24 સર્જરી કરાવવી પડી અને તેમની કિડનીને પણ નુકસાન થયું હતું.
અરજી ફગાવી: 2022 માં તેમને 15% દિવ્યાંગતા સાથે સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની દિવ્યાંગતા પેન્શનની અરજીને તંત્ર દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
કોર્ટ અને ટ્રિબ્યુનલની કાર્યવાહી
ચંડીમંદિર આર્મ્ડ ફોર્સીસ ટ્રિબ્યુનલે અવલોકન કર્યું કે સેવા દરમિયાન જ તેઓ દિવ્યાંગ થયા હતા, તેથી તેમને પેન્શન મળવું જોઈએ. ટ્રિબ્યુનલે 2008 ના એક ચુકાદાને ટાંકીને તેમની દિવ્યાંગતા શ્રેણી 40 થી 50 ટકા રાખવા સૂચવ્યું હતું. ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટના અગાઉના આદેશોનું પાલન ન થતા મેજર પાંડેરે સંરક્ષણ સચિવ અને સેના પ્રમુખ સામે કન્ટેમ્પટ પિટિશન (કોર્ટના તિરસ્કારની અરજી) દાખલ કરી હતી. 30 એપ્રિલના રોજ જસ્ટિસ સુદિપ્તી શર્માએ નોંધ્યું કે છેલ્લી સુનાવણી છતાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી, જેના કારણે આ કડક દંડનો આદેશ આપવામાં આવ્યો છે.















