![]()
– અમદાવાદ-ઇન્દોર હાઈવે પર
– તંત્ર દ્વારા સત્વરે સમસ્યા ઉકેલવામાં આવે તેવી વાહનચાલકોમાં માંગ ઉઠી
કઠલાલ : અમદાવાદ-ઇન્દોર હાઈવે પર આવેલા કઠલાલ ઓવરબ્રિજ પર છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એકતરફ તંત્ર દ્વારા વાહનચાલકો પાસેથી ‘કમરતોડ’ ટોલટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ પાયાની સુવિધાઓ આપવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા બ્રિજના બંને છેડા પર લાઈટોનું સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે, હાલ ઓવરબ્રિજ રાત્રિના સમયે અંધારપટમાં ગરકાવ રહે છે, જેના કારણે આ વિસ્તાર ‘ડેન્જર ઝોન’ બની ગયો છે. આ ઓવરબ્રિજ અકસ્માત માટે સંભવિત જગ્યા ગણાય છે. ભૂતકાળમાં પણ રાત્રિના અંધકારને કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. સમસ્યાનો ઉકેલ નહીં આવેતો નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. જેથી વાહનચાલકોમાં માંગ ઉઠી છે કે, સત્વરે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે.















