![]()
સુરતમાં છેલ્લા 19 વર્ષથી પુસ્તક મેળો યોજાતો હતો પરંતુ કોરોના કાળ બાદ પુસ્તક મેળા પર બ્રેક લાગી ગઈ હતી. લાંબા અંતરના ગાળા બાદ આજે સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ઉપર 20મો પુસ્તક મેળો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ પુસ્તક મેળા સાથે 18 મો ભાગાયત અને ૧૦ મો શિલ્પગ્રામ મેળો પણ ખુલ્લો મુકાયો અને પુસ્તક મેળામાં વિવિધ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતમાં કોરોના બાદ પુસ્તક મેળાનું આયોજન પડતું મુક્યું હતું જેનું હાલ મુર્હત આવ્યું છે. સુરત પાલિકાના 20માં પુસ્તક મેળાને આજે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો છે. પહેલી વખત એવું બન્યું છે કે પુસ્તક મેળાને ખુલ્લો મુકાયા બાદ કોઈ જાહેર મંચનો કાર્યક્રમ થયો ન હતો અને કોઈ મહાનુભવોએ પુસ્તક મેળા માટે ઉદબોધન કર્યુ ન હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો ર૦ર૬ ખુલ્લો મુક્યો હતો અને ત્યાં સ્થળ પર હાજર લોકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનકી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો. આ પુસ્તક મેળામાં કુલ 11 ડોમ છે જેમાંથી 5 ડોમમાં 63 બુક સ્ટોલ, 1 શિલ્પગ્રામ ડોમમાં 40 સ્ટોલ, પ્લાન્ટેશન માટેના 4 ડોમમાં 40 સ્ટોલ 1 ડોમમાં ફૂડ ઝોન બનાવ્યો છે. આ સાથે 800 ચો.મી. વિસ્તારમાં ફ્લાવર શો બનાવવામાં આવ્યો છે.
આ પુસ્તક મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુસ્તકો પર આધારિત થીમ પેવેલિયન બનાવવામા આવી છે તેની મુખ્યમંત્રી સહિત મહાનુભવોએ મુલાકાત લીધી હતી.આ પુસ્તક મેળામાં જ્ઞાનવર્ધક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળા દરમ્યાન વિવિધ ભાષા, વિષયોનાં સાહિત્યમાં મોટીવેશનલ બુક માટે પ્રખ્યાત લેખક લિખિત કલેકશન રાખવામા આવ્યા છે. આ પુસ્તક મેળો 1 માર્ચ સુધી સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
















