![]()
TMC Crisis : તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં વર્ચસ્વની લડાઈ હવે ટોચ પરએ પહોંચી ગઈ છે. મમતા બેનર્જીના નેતૃત્વવાળા જૂથે મંગળવારે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 8 મોટા બળવાખોર નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. સોમવારે બળવાખોર જૂથે એક બેઠક કરીને મમતા બેનર્જીને પાર્ટીના ચેરપર્સન પદેથી હટાવી દીધા હતા, જેના વળતા પ્રહારરૂપે દીદીએ આ આકરી કાર્યવાહી કરી છે.
આ 8 દિગ્ગજ નેતાઓ પક્ષમાંથી બરતરફ
મમતા બેનર્જીએ પક્ષમાંથી જે નેતાઓને સસ્પેન્ડ કર્યા છે તેમાં કોલકાતાના પૂર્વ મેયર અને પૂર્વ મંત્રી ફિરહાદ હકીમ ઉપરાંત જાવેદ અહેમદ ખાન, અરૂપ રોય, રથિન ઘોષ, બિપ્લબ મિત્રા, સબીના યાસ્મીન, અરૂપ બિસ્વાસ અને સ્નેહાશીષ ચક્રવર્તી સામેલ છે. આ તમામ નેતાઓને પહેલા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને તેના ગણતરીના કલાકોમાં જ પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દેવાયો છે.
આ પણ વાંચો : ‘શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો…’ આંદોલન પર બેઠેલા કોકરોચ જનતા પાર્ટીના સમર્થકોનું અલ્ટીમેટમ
બળવાખોરોએ મમતાને હટાવી અરૂપ રોયને સોંપી હતી કમાન
સોમવારે વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીની આગેવાનીમાં બળવાખોર જૂથે તૃણમૂલ કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાત કરી હતી. આ નવી સમિતિમાં વર્ષ 1998થી પક્ષના સર્વેસર્વા રહેલા મમતા બેનર્જીને હટાવીને ધારાસભ્ય અરૂપ રોયને નવા ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જ્યારે ફિરહાદ હકીમ અને અરૂપ બિસ્વાસને વાઇસ-ચેરપર્સન બનાવવામાં આવ્યા હતા. આ જૂથે 30 સભ્યોની નવી રાષ્ટ્રીય કાર્યકારિણી (NWC)ની પણ રચના કરી લીધી છે.
60 ધારાસભ્યો અને 20 સાંસદોનો ટેકો હોવાનો દાવો
બળવાખોર નેતાઓનો દાવો છે કે તેમને TMCના 80 માંથી ઓછામાં ઓછા 60 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. આ સિવાય પક્ષના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદો પહેલાથી જ અલગ થઈને ‘નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા’ માં જોડાઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં આ બળવાખોર જૂથ દ્વારા જિલ્લા પ્રમુખો અને જિલ્લા સમિતિઓની પણ નવી નિમણૂક કરવામાં આવનાર છે, જેના કારણે પક્ષમાં ભંગાણ નક્કી માનવામાં આવે છે.
આ પણ વાંચો : 12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાણો ગુજરાતમાં ક્યારે થશે પધરામણી!















