![]()
– રબારી સમાજના યુવકના યુવતી સાથે પ્રેમલગ્નનો વિવાદ
– આંતરજ્ઞાતિય લગ્નનો સમાજિક વિવાદ વકર્યો : વર્ગ વિગ્રહ ટાળવા બંને સમાજના વડીલો દ્વારા શાંતિપૂર્ણ ઉકેલની તજવીજ
નડિયાદ : ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની ૧૯ વર્ષીય પાટીદાર યુવતીએ રબારી સમાજના યુવક સાથે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરી લેતા પંથકમાં ભારે ઉત્તેજના વ્યાપી છે. આ બનાવને પગલે સામાજિક વાતાવરણ ડહોળાય નહીં તે માટે પાટીદાર અને રબારી સમાજના અગ્રણીઓએ મધ્યસ્થી શરૂ કરી છે. દીકરીની માતાએ ભાવુક અપીલ કરી હોવા છતાં મામલો ગૂંચવાયો છે, જેને પગલે વિવિધ સંગઠનોના આગેવાનોએ યુવતીને સુરક્ષિત પરત લાવવા માટે કવાયત હાથ ધરી છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની ૧૯ વર્ષીય યુવતીએ રબારી સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હોવાની વિગતો બહાર આવતા જ પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા પાસ અને સરદાર પટેલ ગુ્રપના અગ્રણીઓ દોડી આવ્યા હતા. તેમણે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી અને દીકરીને પરત લાવવા માટેના પ્રયાસો તેજ કર્યા છે. યુવતીની માતાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ દ્વારા રબારી સમાજના વડીલોને પોતાની દીકરી સોંપી દેવા વિનંતી કરી છે. પરિવારનો આક્ષેપ છે કે, દીકરીનું વર્તન ક્યારેય શંકાસ્પદ રહ્યું નહોતું, જેથી તેની સાથે કોઈ છેતરપિંડી થઈ હોવાની પૂરેપૂરી આશંકા છે. સામાજિક સુલેહ જળવાઈ રહે તે માટે સામે પક્ષના આગેવાનો સાથે વાતચીત શરૂ કરી છે. અગ્રણીઓએ જણાવ્યું કે, સંતાનોએ આવા નિર્ણયો લેતા પહેલા માતા-પિતાના વિશ્વાસને પ્રાથમિકતા આપવી જોઈએ. રબારી સમાજે અગાઉ પણ સામાજિક પ્રશ્નોમાં પરિપક્વતા દાખવી છે, તેથી આ કિસ્સામાં પણ હકારાત્મક પ્રતિસાદ મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. હાલમાં કાયદાકીય પ્રક્રિયા કરતા સામાજિક સૌહાર્દ જાળવીને દીકરીને રૂબરૂ લાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પંથકમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે.
સમગ્ર રાજ્યમાં આંતરજ્ઞાતિય લગ્નોના વધતા કિસ્સાઓ વચ્ચે આ ઘટનાએ સામાજિક મર્યાદાઓ અને કાયદાકીય સુધારાની ચર્ચા ફરી જીવંત કરી છે. પાટીદાર અગ્રણીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ઘણીવાર લાલચ આપીને દીકરીઓને ભોળવવામાં આવતી હોય છે. જોકે, રબારી સમાજના અગ્રણીઓએ હકારાત્મક અભિગમ અપનાવીને યોગ્ય ઉકેલની ખાતરી આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું. આગામી દિવસોમાં બંને સમાજના વડીલોની બેઠક યોજાઈ શકે છે, જેમાં દીકરીને પરત સોંપવા અથવા આંતરજ્ઞાતિય વિવાદનો અંત લાવવા માટે કોઈ મધ્યમાર્ગીય રસ્તો કાઢવામાં આવશે.
પરિવારની સુરક્ષા અને છેતરપિંડીની આશંકા
યુવતીના માતા-પિતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી હંમેશા સમયસર ઘરે આવી જતી હતી અને તેના અભ્યાસમાં પણ તે તેજસ્વી હતી. અચાનક આ રીતે કોઈના પ્રભાવમાં આવીને લગ્ન કરી લેવા તે ગળે ઉતરે તેવી વાત નથી. પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે, તેની માલમિલકત હડપવા અથવા અન્ય કોઈ સ્વાર્થ માટે તેને છેતરવામાં આવી હોઈ શકે છે. હાલમાં પરિવાર માત્ર પોતાની દીકરીને એકવાર રૂબરૂ મળવા અને ઘરે પરત મેળવવા સામાજિક નેતાઓની મદદ માંગી રહ્યો છે.















