Gir Forest Serious Irregularities: ગુજરાતના સ્ટેટ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફના વર્તમાન અને પૂર્વ સભ્યો દ્વારા ગીર વન વિસ્તાર અને એશિયાટિક લાયન લેન્ડસ્કેપને નુકસાન પહોંચાડતી ગંભીર ગેરરીતિઓ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં અનેક મુદ્દાઓને ટાંકીને રજૂઆત કરવામાં આવી છે. બોર્ડના 5 સભ્યોએ ગીર પૂર્વ વન વિભાગ (Gir East Forest Division)માં ચાલી રહેલી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને નિયમ વિરુદ્ધ અપાયેલી મંજૂરીઓ સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને આ મામલે તાત્કાલિક સુધારાત્મક પગલાં લઈ ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠાવી છે.
કોરિડોર ન હોવાનું ખોટું ચિત્ર ઊભું કરાયું
બોર્ડના સભ્યોએ રજૂ કરેલા મુખ્ય મુદ્દાઓમાં રાજુલા નજીક આવેલા બાબરીયાકોટ રિઝર્વ ફોરેસ્ટ (Babarkot Reserve Forest)ની 75 હેક્ટર જેટલી વન જમીનને ખાણકામના હેતુ માટે ડાયવર્ટ કરવાનો પ્રસ્તાવ છે. સભ્યોના જણાવ્યા મુજબ, સત્તાવાર રેકોર્ડ પ્રમાણે આ વિસ્તાર 5થી વધુ સિંહો અને ‘શેડ્યૂલ 1’ માં આવતા અન્ય વન્યજીવોનું કાયમી નિવાસસ્થાન છે. ગીરના મેનેજમેન્ટ પ્લાનમાં આ વિસ્તારને એક ‘મહત્વના સિંહ કોરિડોર’ તરીકે દર્શાવવામાં આવ્યો છે, તેમ છતાં જમીન ડાયવર્ઝનના પ્રસ્તાવમાં આ હકીકત છુપાવીને તે કોરિડોર ન હોવાનું ખોટું ચિત્ર ઊભું કરાયું છે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો 5500થી વધુ વૃક્ષોનું નિકંદન નીકળી જશે. આ પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘પ્રોજેક્ટ લાયન’ અને સરકારના ‘એક પેડ મા કે નામ’ અભિયાનના હેતુથી તદ્દન વિપરીત છે.
રાજભા ગઢવીને નિયમોની વિરુદ્ધ મંજૂરી આપવામાં આવી
બીજા એક ગંભીર મામલામાં, ગીર અભયારણ્યના લીલાપાણી નેસમાં તાજેતરમાં જ એક લોક કલાકાર (રાજભા ગઢવી)ને નિયમોની ઐસીતૈસી કરીને રહેણાંક માટે ગેરકાયદે અને વિવાદાસ્પદ મંજૂરી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વર્ષ 2023માં તત્કાલીન અધિકારી દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવી હોવા છતાં, વર્તમાનમાં તે જ હોદ્દા પરથી આ મંજૂરી આપી દેવાઈ છે. આ માલધારીને સરકાર દ્વારા ‘સાંથણી’ યોજના હેઠળ ચાચાઈ ગામમાં પહેલેથી જ જમીન ફાળવવામાં આવી ચૂકી છે. સરકારની પોતાની સત્તાવાર નીતિ માલધારીઓને ગીર અભયારણ્યની બહાર પુનઃવસન કરવાની છે, ત્યારે આ નિર્ણય તેનાથી તદ્દન ઉલટો છે. આ મંજૂરીના કારણે હવે અન્ય 50 થી વધુ માલધારીઓ પણ આવી જ ગેરકાયદે પરવાનગીઓ મેળવવા આગળ આવ્યા છે, જે ગીરની નાજુક ઇકોસિસ્ટમ માટે વિનાશક સાબિત થઈ શકે છે.


‘લિયોનિયા’ રિસોર્ટ દ્વારા જમીનનો ગેરકાયદે ઉપયોગ અને ડાયવર્ઝન
આ ઉપરાંત, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામમાં આવેલા ‘લિયોનિયા’ નામના એક રિસોર્ટ માટે રિઝર્વ ફોરેસ્ટની જમીનનો ગેરકાયદે ઉપયોગ અને ડાયવર્ઝન થઈ રહ્યું હોવાનો પત્રમાં પર્દાફાશ કરાયો છે. આ રિસોર્ટ માટે ખેતીની જમીનને બિન-ખેતી (NA)માં ફેરવવા માટેની મંજૂરી માત્ર ‘રહેણાંક હેતુ’ માટે આપવામાં આવી હતી, પરંતુ તેનો વ્યાવસાયિક ઉપયોગ થઈ રહ્યો છે અને તેમની પાસે રિસોર્ટ ચલાવવાનું કોઈ લાઈસન્સ પણ નથી. અગાઉના વન અધિકારીઓ દ્વારા રિઝર્વ ફોરેસ્ટમાંથી આ રિસોર્ટના ગેરકાયદે પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો, પરંતુ હવે વન વિભાગ દ્વારા જ નિયમોનો ઉલાળિયો કરીને રસ્તો આપીને FCA હેઠળ વન જમીન ડાયવર્ઝનનો પ્રસ્તાવ પણ શરૂ કરી દેવાયો છે.
આ પણ વાંચો: ચટણી-રોટી ખાઈને દિવસો વીતાવ્યા, 20 વર્ષ સુધી ઘરે ન ગયા…: ‘પંચાયત’ના ‘પ્રધાનજી’નો સંઘર્ષ
માનવસર્જિત અને વ્યાવસાયિક દબાણો ગીર માટે વધુ ગંભીર!
વાઈલ્ડલાઈફ બોર્ડના સભ્યોએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે, હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં ગીર અને સિંહોના સંરક્ષણ, કોરિડોરની જાળવણી, અકુદરતી મૃત્યુ અને વેપારીકરણના મુદ્દે બે જાહેર હિતની અરજીઓ (PIL 284/2014 અને PIL 56/2018) પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં વન વિભાગ દ્વારા અપાયેલી આ વિવાદાસ્પદ મંજૂરીઓ કોર્ટના તિરસ્કાર સમાન બની શકે છે. સભ્યોએ ભારપૂર્વક જણાવ્યું છે કે સિંહોમાં ફેલાતી બીમારીઓ સામે વન વિભાગ પગલાં લઈ રહ્યું છે, પરંતુ આ માનવસર્જિત અને વ્યાવસાયિક દબાણો ગીર માટે વધુ ગંભીર અને સંવેદનશીલ છે. જો વર્ષ 2025 પછી આપવામાં આવેલી આવી તમામ ગેરકાયદે મંજૂરીઓ પર તાત્કાલિક રોક લગાવીને સુધારાત્મક પગલાં લેવામાં નહીં આવે, તો ગીરની અંદર માનવ-વન્યજીવ સંઘર્ષ વકરશે અને ગીરના સંરક્ષિત વિસ્તારને ક્યારેય ન ભરાય તેવું નુકસાન થશે.















