Gujarat Gas Black Marketing: રાંધણગેસના બાટલાની કોઈજ અછત ન હોવાની અને કંપનીઓ પાસે પૂરત જથ્થો ઉપલબ્ધ હોવાના કંપનીઓના દાવા વચ્ચે ગરીબ વર્ગના કે મધ્યમ વર્ગના ગેસધારકોની ફરિયાદ છે કે રાંધણગેસના બાટલાને 2000થી 4000 રૂપિયા માગવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે રાંધણગેસના કાળાં બજાર રોકવા માટે અત્યાર સુધીમાં કાળાંબજારિયાઓને રોકવા માટે 2451 સ્થેળે ડિસ્ટ્રીબ્યુટર્સ સહિતના લોકો પર દરોડા પાડ્યા છે.
215 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો
કાળાંબજારીની શક્યતા ધરાવતા 215 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, આ કેસ પૂરા કરવાની કોઈ નિસ્ચિત સમયમર્યાદા ન હોવાથી સરકારી તંત્રએ દરોડા પાડ્યા પછીય કાળાં બજારમાં સિલિન્ડર વેચાતા હોવાની ફરિયાદો ચાલુ જ છે. કારણ કે કાળાં બજાર કરનારા 215 લોકો સામે હજુ સુધી કોઈ જ નક્કર પગલાં લેવાયા નથી. તેમના નિવેદનો લેવાની અને તપાસ કરવાની બાકી છે. પરિણામે રાંધણગેસના બાટલા ન મળે તેના ઉચાટ વચ્ચે જ નીચલા મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો જીવી રહ્યા છે.
ગુજરાત સરકારના સિવિલ સપ્લાય વિભાગના જોઈન્ટ ડિરેક્ટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે દરોડા પાડ્યા બાદ કાળાંબજારિયાઓ સામે કરવામાં આવેલા કેસોની કાર્યવાહી આગામી મહિનાઓમાં ચાલશે. તેની રજૂઆતને સાંભળવામાં આવશે. ત્યારબાદ તેની સામે વ્યક્તિગત ઓર્ડર થશે. તેને ગુનેગારા ઠેરવવામાં આવશે પેનલટી કરવામાં આવશે. અત્યાર સુધી કોઈ સામે કાર્યવાહી તો પેનલટી થઈ નથી.
રાંધણગેસના બાટલાની અછત ન થાય તે માટે પીએનજી જોડાણ ડિપોઝિટ વિના જ પંદર દિવસમાં આપી દેવાની મોટા ઉપાડે સરકારે જાહેરાત કરી હોવા છતાંય છેલ્લા એક મહિનામાં કેટલા નવા જોડાણો આપવામાં આવ્યા તે અંગેની કોઈ જ વિગતો પત્રકાર પરિષદની આયોજન કરનારા અધિકારીઓ આપી શક્યા નથી. માત્ર કંપનીઓનો ક્લાયન્ટ બેઝ વધે તે માટે જ ડિપોઝિટ લીધા વિના જ પંદરથી વીસ દિવસમાં પીએનજી જોડાણ આપવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાંય છેલ્લા એક માસમાં કેટલાને અરજન્સીમાં પીએનજી જોડાણ આપવામાં આવ્યા તેની કોઈ જ વિગતો ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન કે પછી સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આપી શક્તા નથી. માત્ર કંપનીઓને નવા જોડાણ લેનારા મળી રહે તે માટે જ આ જાહેરાત કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો: Explainer: ઈરાનથી ગુજરાત સુધીની જહાજી ટેન્કરની સફરમાં કેટલો ખર્ચ થાય? જાણો કયા ઓઇલથી ચાલે છે તેનું એન્જિન
અછત ન હોવા છતાં પીએનજી અને સીએનજીના ભાવ વધારી દેવાયા
બીજીતરફ ગેસ સપ્લાયની કોઈ જ અછત ન હોવાના દાવા વચ્ચે પીએનજી સપ્લાય કરતી કંપનીઓએ પીએનજીના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મિટરે 2 રૂપિયા અને ઉદ્યોગને આપવામાં આવતા સીએનજીના એમએમબીટીયુ દીઠ ભાવમાં 150 રૂપિયાની આસપાસનો વધારો કરી દીધો છે. મોરબીના ટાઈલ્સ ઉદ્યોગને પણ સીએનજીનો સપ્લાય સાવ જ બંધ કરી દેવામાં આવ્યો છે.
બીજીતરફ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના આઈઓસીના નોડલ ઓફિસર સંજીબ બેહરાઓ જણાવ્યું હતું કે, ‘પેટ્રોલ, ડિઝલ કે રાંધણગેસની કોઈ જ અછત નથી. છતાંય રેસિડેન્શિયલ જોડાણ ધારકોને અગ્રક્રમ આપવા માટે કોમર્શિયલ એલપીજીનો સપ્લાયમાં 30 ટકા કાપ મૂકવામાં આવ્યો છે. ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝને તેમની જરુરિયાતના 70 ટકા સપ્લાય આપવામાં આવે છે. ડેરી ઉદ્યોગમાં પણ વાસ્તવિક જરુરિયાત સામે 70 ટકા ગેસનો સપ્લાય જ આપવામાં આવી રહ્યો છે. પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ કુલ ડિમાન્ડના 70 ટકા સપ્લાય જ આપવામાં આવી રહ્યો છે. આમ સંખ્યાબંધ સેક્ટરમાં સપ્લાય કાપી નાખવામાં આવ્યો છે.
હોટેલો થાળીના ભાવમાં વધારો ન કરી શકે
કોર્મિશિયલ ગેસના ભાવ વધી ગયા હોવાના નામે હોટલ, રેસ્ટોરા દ્વારા થાળીના ભાવમાં 25 રૂપિયા કે તેનાથી વધારાનો વધારો કરી દીધો હોવાના સવાલનો જવાબ આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે આ રીતે ભાવ વધારી શકે નહીં. તેમણે કરેલો ભાવ વધારો કાયદેસર રીતે યોગ્ય નથી.
30થી 40 ટકા સપ્લાય ઘટાડી દેવાયો
કંપનીઓ પાસે પૂરતો જથ્થો હોવાનું જણાવતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ટોપ પ્રાયોરિટી ડોમેસ્ટિક સપ્લાયની છે. તેથી અન્ય સેક્ટરમાં કપાત મૂકવામાં આવી છે. ડોર્મેસ્ટિક વપરાશને નોર્મલ રાખવાની સૂચના સરકાર તરફથી આપવામાં આવી છે. હોટેલ ઈન્ડસ્ટ્રી, કોર્પોરેટ કેન્ટિન, ઈન્ડસ્ટ્રીયલ કેન્ટિન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સને તેમની જરૂરિયાતના 25 ટકા ગેસ જ આપવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં સ્ટીલ, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ ડાઈઝ, કેમિકલ્સ અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને જોઈતા કુલ સપ્લાયની સામે માત્ર 20 ટકા સપ્લાય આપવામાં આવી રહ્યો છે. એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝને માત્ર 20 ટકા સપ્લાય આપવામાં આવી રહ્યો છે. ઈરાન યુદ્ધપહેલાના કુલ સપ્લાયના સરેરાશ 70 ટકા સપ્લાય અત્યારે આપવામાં આવી રહ્યો હોવાનું સંજીબ બેહરાએ જણાવ્યું હતું. જોકે હોસ્પિટલ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુને 100 ટકા સપ્લાય આપવામાં આવી રહ્યો છે.
ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરો, કેરોસિનનો સપ્લાય છૂટો કર્યો
અધિકારીઓનો જણાવ્યાનુસાર, લોકો પેટ્રોલ, ડિઝલ કે એલપીજી-રાંધણગેસ સહિતની ફરિયાદો ટોલફી નંબર 18002330222 પર કરી શકે છે. અત્યાર સુધીમાં ટોલફી નંબર પર 11,308 ફરિયાદ મળી છે. આ ફરિયાદો કન્સર્ન ડિપાર્ટમેન્ટને ફોરવર્ડ કરી દીધી છે. એ ટોલફી નંબર પર આવતી ફરિયાદ જે તે વિભાગને મોકલી આપે છે. કાળાં બજાર ન થાય તે માટે ડિજિટલ બુકિંગ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં 88 ટકા ડિજિટલ બુકિંગ હાલમાં થઈ રહ્યું છે. રાંધણગેસની અવેજીમાં કેરોસિન વાપરનારાઓની સુવિધા માટે 1452 કે.એલ.કેરોસિનનો જથ્થા મુક્ત કર્યો છે. આ જથ્થો 61.40થી 66.14 રૂપિયાના લિટરદીઠ ભાવમાં જથ્થો આપવામાં આવ્યો છે. દરેક તાલુકામાં આ કેરોસિન મેળવવાનું લોકેશન આપવામાં આવશે. સંસ્થાઓને ઓછા દરે કેરોસિનનો સપ્લાય આપવામાં આવશે.















