![]()
Chhota Udepur News: છોટા ઉદેપુર તાલુકાના એકલબારા ગામે એક યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. લગ્ન પ્રસંગમાં ગયેલો યુવાન મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં હતા, જેની વહેલી સવારે ગામના કોતરમાંથી મૃતદેહ મળી આવ્યો છે.
લગ્ન પ્રસંગ બાદ યુવાન ગુમ થયો હતો
મળતી માહિતી અનુસાર, એકલબારા ગામે રહેતા 32 વર્ષીય સુનિલ રાઠવા ગત રાત્રિએ ગામમાં જ યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ પણ સુનિલભાઈ મોડી રાત સુધી ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ રાત્રિના સમયે તેમનો કોઈ પતો લાગ્યો ન હતો.
વહેલી સવારે ગ્રામજનો જ્યારે સીમ વિસ્તારમાં ગયા ત્યારે ગામના ‘બોરીયા કોતર’માં એક યુવાનનો મૃતદેહ પડેલો જોવા મળ્યો હતો. મૃતકની ઓળખ સુનિલભાઈ રાઠવા તરીકે થતા ગામ લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સુનિલભાઈ મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, તેમના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ પણ વાંચો: ‘અમુક લોકો એમની સાથે જોડાઈ રહ્યા છે…’ મંત્રી કૌશિક વેકરિયાની ભાજપ કાર્યકરોને ગર્ભિત ધમકી
પોલીસ તપાસ અને ગ્રામજનોની માંગ
ઘટના અંગે છોટા ઉદેપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ, યુવાનનું મૃત્યુ કુદરતી છે કે તેની પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે તે અંગે પરિવારજનો અને ગ્રામજનોએ તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.















