![]()
વડોદરા,વડસરમાં વર્ષ ૧૯૯૬ માં અંદાજે ૮૧ હજાર ફૂટ જગ્યા ખરીદનાર ત્રણ ભાગીદારોને અંધારામાં રાખી તેમની જમીનનો વેચાણ દસ્તાવેજ વર્ષ ૨૦૨૦માં થઇ ગયો હતો. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી ચાર આરોપીઓને ઝડપી પાડયા છે.
કારેલીબાગ અંબાલાલ પાર્ક નજીક અલકેશ સોસાયટીમાં રહેતા સીનિઅર સિટિઝન રમેશભાઇ મણીલાલ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મેં તથા મારા મિત્રો હર્ષદભાઇ બાબુભાઇ ગોરડિયા તથા પ્રમોદભાઇ બાબુભાઇ ગોરડિયા (રહે. મુંબઇ) એ ભાગીદારીમાં વડસરની સીમમાં જમીન મૂળ જમીન માલિક બેચરભાઇ દાદાભાઇ બારોટ પાસેથી લીધી હતી. ત્યારબાદ અમારા નામે અન્ય વ્યક્તિઓને હાજર કરી ખોટા આધાર કાર્ડ રજૂ કરી વેચાણ દસ્તાવેજ થઇ ગયો હતો. આ કેસમાં માંજલપુર પોલીસે (૧) જમીન દલાલ પંકજ ચંદુભાઇ પંચાલ (રહે.હરીદર્શન સોસાયટી, કંજરી રોડ, હાલોલ, જિ.પંચમહાલ) (૨) જમીન દલાલ મનોજ દેવાભાઇ વણકર (રહે. હરીનગર, તરસાલી, મૂળ રહે.તરખંડા ગામ, નવી નગરી,તા.હાલોલ, જિ.પંચમહાલ) (૩) નરેન્દ્ર ઇશ્વરભાઇ પરમાર (રહે. કાવા ગામ, તા.જંબુસર,જિ. ભરૃચ) તથા (૪) મયજી ફૂલાભાઇ જાદવ (રહે. મોટા ચાંચડીયા ગામ, ગોવિંદપુરી ફળિયું, તા.હાલોલ, જિ.પંચમહાલ) ને ઝડપી પાડયા છે. પોલીસે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, પંકજ પંચાલ વિરૃદ્ધ અગાઉ જરોદમાં જમીન અને સુરતમાં ડૂપ્લિકેટ નોટનો ગુનો દાખલ થયો છે. તેના ઘરેથી દસ્તાવેજો કબજે લઇ તપાસ શરૃ કરવામાં આવી છે. જમીન માલિક રમેશ પંચાલની જગ્યાએ મનોજ હાજર રહ્યો હતો. જ્યારે હર્ષદ ગોરડિયાની જગ્યાએ રાકેશ નામનો શખ્સ હાજર રહ્યો હતો. જેને પકડવાનો બાકી છે.















