![]()
Jamnagar : જામનગરમાં આજરોજ શુક્રવારે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે અને હોમગાર્ડઝ તથા જેએમસીના સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લાના લોકો માટે રંગમતી નદીની સ્વચ્છતા જાળવી રાખવા માટે એક રેલી અને સંદેશા વિતરણનો કાર્યક્રમ આદર્શ સ્મશાન પાસેથી શરૂઆત કરીને સિધ્ધનાથ મંદિર સુધી આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને જામનગરની રંગમતી નદીને ગંદી થતાં બચાવવાનું આહ્વાન ડીએલએસએના સચિવ અને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ દ્વારા લોકોને આપવામાં આવ્યું હતું.
જામનગરની રંગમતી નદી જામનગરની શાન ગણવામાં આવતી હતી. સમયાંતરે આ નદીનું ભાવી અંધકારમય ના થાય તે માટેનો એક પ્રયત્ન જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે ભગીરથ કાર્યમાં હોમગાર્ડઝ સંસ્થા અને જેએમસી પણ સહભાગી થયા છે. આ કાર્યક્રમમાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ તથા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ, જેએમસીના સફાઈ વોરિયર્સના અધિકારીઓ સાથે ડીએલએસએના વોલન્ટીયર્સ એડવોકેટ મિત્રો જેએમસીના કર્મચારીઓ તથા હોમગાર્ડઝના ભાઈઓ અને ઓફિસરો જોડાયા હતા.















