![]()
Jamnagar : જામનગરમાં લાંચ લેવાના ગંભીર કેસમાં સપડાયેલા મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે, જેથી તેનો જેલવાસ લંબાયો છે. જ્યારે આ ચુકાદાને લઇને સરકારી વર્ગોમાં ચર્ચા જાગી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જામનગરમાં ચાલી રહેલા વિવિધ સરકારી કામોમાં ઇલેક્ટ્રિક કામગિરીના બિલ મંજુર કરવા બદલ આરોપી વિજયકુમાર બાબુભાઈ કાના (મદદનીશ ઇજનેર વર્ગ-2, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ) દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી. આ સંદર્ભે ફરિયાદી એ ભ્રષ્ટાચાર વિરોધી દળ (એ.સી.બી.)નો સંપર્ક કર્યો હતો.
તા.11/04/2026ના રોજ એ.સી.બી. દ્વારા ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન જામનગર સ્થિત કચેરીમાં આરોપી દ્વારા લાંચની રકમ સ્વીકારતી વખતે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ટ્રેપ દરમિયાન રોકડ રકમ તથા અન્ય પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા.
આરોપીને બાદમાં કાયદેસરની કાર્યવાહી હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જામનગરની અદાલતમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલ દલીલો અને કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. જેથી તેનો જેલવાસ લંબાયો છે.















