![]()
Jamnagar Crime : જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતો મોહસીન રહીમભાઈ ઠેબા નામનો 32 વર્ષનો યુવાન ગઈકાલે માટેલ ચોકમાં એક પાનની દુકાને પાન ખાવા માટે ઊભો હતો, જે દરમિયાન ઇન્દ્રજીતસિંહ જયેન્દ્રસિંહ તેમજ મિતરાજસિંહ જયેન્દ્રસિંહ નામના બે શખ્સો તલવાર સાથે ધસી આવ્યા હતા, અને તું અમારી વાતો શું કામ કરે છે, તારે આ વિસ્તારમાં રહેવું નથી લાગતું. તેમ કહી તકરાર કરી હતી, અને બંને યુવાનોએ પોતાના હાથમાં રહેલી બે તલવારો વડે હુમલો કરી દીધો હતો.
ત્યારબાદ તેઓના સાથે જયેન્દ્રસિંહ ઉર્ફે જ્યૂભા, રાજ અને વીરુ વગેરે લોખંડના પાઇપ ધોકા લઈને ધસી આવ્યા હતા, અને તેઓએ પણ હુમલો કરી દેતાં ફેક્ચર સહિતની ઈજા થવાથી જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે, અને હાલ દાખલ છે. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત મોસીન રહીમભાઈ ઠેબાએ પોતાના ઉપર તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરવા અંગે ઉપરોક્ત પાંચેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતાં સીટી બી. ડિવિઝનના પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.















