![]()
Jamnagar : જામનગર નજીક રણજીતસાગર રોડ વિસ્તારમાં ગત રવિવારે એક રિસોર્ટમાં લાગેલી ભયાનક આગની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ઉનાળાની સીઝનમાં ફરીથી આવી દુર્ઘટના સર્જાય નહીં તે માટે જામનગર મહાનગરપાલિકાએ શહેર તેમજ હાઇવે પર આવેલી હોટલો, રેસ્ટોરન્ટો અને રિસોર્ટોમાં વિશેષ ચકાસણી અભિયાન શરૂ કર્યું છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન.મોદીની સૂચનાના આધારે ફાયર શાખા, એસ્ટેટ શાખા, ટીપીઓ બ્રાન્ચ તેમજ સંબંધિત વિભાગોની પંદરથી વધુ અધિકારીઓ-કર્મચારીઓની સંયુક્ત ટીમ દ્વારા છેલ્લા પાંચ દિવસથી સતત સર્વે અને ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
આ અભિયાન દરમિયાન ફાયર એનઓસી, બીયુ સર્ટિફિકેટ, ઇમરજન્સી એક્ઝિટ, અગ્નિશામક સાધનો, સુરક્ષા વ્યવસ્થા તથા બિલ્ડિંગ નિયમોના પાલનની ચકાસણી કરવામાં આવી હતી. કુલ 36 હોટલ-રેસ્ટોરન્ટોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 20 સ્થળોએ જરૂરી સુવિધાઓ અને દસ્તાવેજો યોગ્ય હાલતમાં મળ્યા હતા. જોકે બાકીના 16 હોટલ અને રેસ્ટોરન્ટોમાં સુરક્ષા સંબંધિત ગંભીર ખામીઓ, ફાયર એનઓસીનો અભાવ અથવા જરૂરી મંજૂરીઓ ન હોવાના કારણે મહાનગરપાલિકાએ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ફાયર શાખાના અધિકારી અને તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યવાહી સંકલિત રીતે હાથ ધરવામાં આવી રહી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે લોકોની સલામતીને પ્રાથમિકતા આપીને આવનાર દિવસોમાં પણ આ પ્રકારની ચકાસણી અને કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.
ગત વર્ષના ફાયર ચેકીંગને લીધે 70 ટકા હોટલોમાં સબ સલામત : 6 હોટલોને કરાર આધારિત ખોલી આપી
જામનગર મહાનગરપાલિકાની ફાયર સહિતની ટુકડી દ્વારા ગત વર્ષે પણ આ રીતે ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને આશરે 70 થી વધુ હોટલ રેસ્ટોરન્ટ વગેરેને સીલ કરાયા હતા, જેના અનુસંધાને તમામ હોટલ સંચાલકો દ્વારા ફાયર સિસ્ટમ વગેરેને કાર્યરત કરી દીધી હોવાથી આ વખતના ચેકિંગમાં 70 ટકાથી વધુ હોટલોમાં સબ સલામત જોવા મળ્યું હતું, અને બાકી રહી ગયેલી હોટલોમાં અત્યારે ફરી તાત્કાલિક અસરથી ફાયર પ્રણાલી વસાવી લેવા માટેની કાર્યવાહી ચાલુ થઈ છે.
આ વર્ષે સીલ કરેલી 6 હોટલના સંચાલકોએ ફાયર સિસ્ટમ વગેરેની કામગીરી કરાવવા માટેની સીલ ખોલી આપવા માંગણી કરવામાં આવી હતી, અને રૂપિયા 300 ના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરીને આવી 6 હોટલોના સીલ કામ કરવાના ભાગરૂપે ખોલી અપાયા છે.















