![]()
Jamnagar : જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર તુલસી પાર્ટી પ્લોટની નજીક આવેલા એક કુવામાં કોઈ અજાણી સ્ત્રીનો મૃતદેહ પાણીમાં તરી રહ્યો છે, તેવી માહિતી મયુર ખીમાણદભાઈ પિંડારિયા નામની વ્યક્તિએ પોલીસને આપી હતી.
જેથી સીટી સી. ડિવિઝન પોલીસનો કાફલો શનિવારે રાત્રે બનાવના સ્થળે દોડી ગયો હતો અને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની મદદથી મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવ્યો હતો અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા આ મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, જેમાં મૃતક મહિલાનું નામ કવિતાબેન કુંદન (ઉ.વર્ષ. 45) અને જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતી હોવાનું તેમજ રખડતું ભટકતું જીવન જીવતી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત મહિલાનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું તારણ નીકળ્યું છે. મૃતદેહને જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે, અને તેના વાલી વારસદાર અંગે કોઈને જાણકારી હોય તો જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.















