Junagadh Municipal Corporation Blunder: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી સેન્સસ ઓફિસર અને નાયબ કમિશનર દ્વારા વસતી ગણતરી-2027ની કામગીરી માટે 482 જેટલા શિક્ષકોને આદેશ કરવામાં આવ્યા છે. જેમાં 56 જેટલા ખાનગી શિક્ષકોને ગણતરીદાર તરીકે આદેશ કરી તેમની યાદી જાહેર કરવામાં આવી હતી.

આગામી સમયમાં શરૂ થવા જઈ રહેલી વસ્તી ગણતરી-2027ની શરૂઆતમાં જ મહાનગર પાલિકા જૂનાગઢ દ્વારા મોટો છબરડો કરવામાં આવ્યો છે. જેમાં વસ્તી ગણતરી કચેરીના નાયબ નિયામકના પત્રના મુદ્દા 2માં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સદર કામગીરી માટે માત્ર સરકારી કર્મચારીઓને જ કામગીરી સોંપવાની રહેશે. જો કે, જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ગણતરીદાર અને સુપરવાઈઝરના કરવામાં આવેલા આદેશમાં ઘણા ખાનગી શાળાના શિક્ષકોના નામનો સમાવેશ કરાયો છે.
વસતિ ગણતરી-2027 અન્વયે સુપરવાઈઝરો/ગણતરીદારોની નિમણૂક બાબતે સંયુકત નિયામક, વસતી ગણતરી કચેરી ગાંધીનગરના પત્ર દ્વારા વસતી ગણતરીની પૂર્વ તૈયારી રૂપે જૂનાગઢ મહાનગર પાલિકા કક્ષાએ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ચાર્જ અધિકારીઓ દ્વારા 26 ડિસેમ્બર, 2026થી પોતાના તાબા હેઠળની ક્ષેત્રીય કામગીરી અને માહિતી એકત્રિત કરવા અર્થે સુપરવાઈઝરો/ગણતરીદારોની નિમણૂક કરવાની થાય છે.
સરકારની સૂચનાને અનુસંધાને કર્મચારીઓની સુપરવાઈઝર, ગણતરીદાર તરીકે નિમણૂક હુકમ કરવામાં આવી છે, જેઓના વિસ્તારની ફાળવણી (બ્લોક) તથા તાલીમ અને અન્ય બાબતોની જાણ હવે પછી કરવામાં આવશે.
આ પણ વાંચો: વાવ-થરાદ: મીઠાવી ચારણમાં પાણી-જમીનમાં વધતી ખારાશની વિકટ સમસ્યા, તંત્રની નિષ્ક્રિયતાથી રોષ
શિક્ષકોને કરવામાં આવેલા આદેશમાં ખાનગી સ્કૂલના શિક્ષક-કર્મચારી ગમે ત્યારે નોકરી છોડી શકે છે. તેમજ તેના દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં ન આવે તો એના માટે જવાબદાર કોણ રહેશે? શરૂઆતના તબક્કે જ મહાનગર પાલિકાના અધિકારી દ્વારા આ રીતે છબરડો જોવા મળે છે તો સંપૂર્ણ વસ્તી ગણતરી નિર્વિઘ્ને સંતોષકારક રીતે પૂર્ણ થશે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.















