![]()
– ઐતિહાસિક વિરાસત જાળવી રાખવા રજૂઆત
– માત્રી માતાજી અને સુરાપુરા દાદાનું પવિત્ર સ્થાનક જર્જરિત હાલતમાં : પુરાતત્વ વિભાગની ઉદાસીનથી લોકોમાં રોષ
ધ્રાંગધ્રા : ઝાલાવાડની ઐતિહાસિક ધરતી પર અનેક પૌરાણિક સ્થાપત્યો આવેલા છે, જેમાં ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની ‘માત્રી વાવ’ વિશેષ ધામક મહત્વ ધરાવે છે. અંદાજે ૩૦૦ વર્ષથી પણ વધુ જૂની ગણાતી આ વાવ ગામના વસવાટ પૂર્વેની હોવાનું મનાય છે. વાવમાં માત્રી માતાજીનું પવિત્ર મંદિર અને બ્રહ્મ સમાજના સુરાપુરા દાદાનું સ્થાનક આવેલું હોવાથી ગ્રામજનોની અપાર આસ્થા તેની સાથે જોડાયેલી છે.
આ વાવની ખાસિયત એ છે કે તેમાં વર્ષના બે મહિના પાણી યથાવત રહે છે, પરંતુ હાલ આ ઐતિહાસિક ધરોહરની સ્થિતિ અત્યંત દયનીય અને જોખમી બની ગઈ છે. વર્તમાન સમયમાં વાવના બાંધકામમાં ઠેર-ઠેર તિરાડો પડી ગઈ છે અને અંદર મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. અગાઉ ગ્રામજનોએ સ્વખર્ચે સફાઈ કરી હતી, પરંતુ જર્જરિત બાંધકામને કારણે હવે ત્યાં ઉતરવું જીવના જોખમ સમાન છે. ગામના આગેવાન સંજયસિંહ વાઘેલાના જણાવ્યા અનુસાર, જો સમયસર આ વાવનું સમારકામ કરવામાં નહીં આવે, તો આ ભવ્ય ઇતિહાસ માત્ર પુસ્તકોના પાના સુધી મર્યાદિત રહી જશે.
ગ્રામ પંચાયત દ્વારા અગાઉ રાજ્યના પુરાતત્વ વિભાગને આ પૌરાણિક વાવનો કબજો સંભાળવા અને તેના જીર્ણોદ્ધાર માટે લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોની માંગ છે કે પુરાતત્વ વિભાગ આ વાવને હેરિટેજ સ્મારક તરીકે વિકસાવે અને તેનું સમારકામ કરી પવિત્ર ધામક સ્થળની ગરિમા જાળવી રાખે.















