![]()
મુંબઈ : વર્તમાન વર્ષ માટે સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ટાર્ગેટ જે અગાઉ ૩ કરોડ ટન રાખ્યો હતો તે ૧૫ ટકા વધારી ૩.૪૫ કરોડ ટન કર્યો છે. વર્તમાન વર્ષમાં લણણીની કામગીરી પહેલા જ કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદ પડતા ઘઉંની ગુણવત્તા પર અસર થઈ છે.
નબળી ગુણવત્તાને કારણે ખેડૂતોએ ટેકાના ભાવ કરતા નીચા ભાવે ઘઉં વેચવાની ફરજ પડી રહી હોવાનું પ્રાપ્ત માહિતી પરથી જણાય છે.આવી સ્થિતિમાં વધુ ને વધુ ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવાનું પસંદ કરશે તે હકીકતને ધ્યાનમાં રાખતા સરકારે ખરીદી ટાર્ગેટ વધાર્યો હોવાનું માનવામાં આવે છે.
વર્તમાન મોસમ માટે સરકારે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો હોવા છતાં મંડીઓમાં ભાવ ટેકાના ભાવથી નીચે બોલાઈ રહ્યા છે. ઘઉંના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨૫૮૫ નિશ્ચિત કરાયા છે.
સામાન્ય રીતે કેન્દ્ર સરકાર ખરીદી ટાર્ગેટ મોસમના અંતે વધારતી હોય છે, પરંતુ વર્તમાન વર્ષમાં ઘણો વહેલો આ નિર્ણય આવી પડયો છે. વિવિધ રાજ્ય સરકારો દ્વારા પણ સરકારને આ સંદર્ભમાં વિનંતી કરવામાં આવી હતી.
ખેડૂતો પાસેથી વધુ ઘઉં ખરીદી શકાય માટે ઘઉંની ગુણવત્તાને લગતા ધોરણો હળવા કરાયા હોવાનું સરકારી સુત્રોેએ જણાવ્યું હતું. ઘઉંની ખરીદીમાં વધારાને પગલે સરકાર પાસે ઉપલબ્ધતામાં પણ વધારો જોવા મળશે. દરમિયાન સરકારે પોતાના વર્તમાન વર્ષના ઘઉં ઉત્પાદન અંદાજને ઘટાડી ૧૧થી ૧૨ કરોડ ટન વચ્ચે મૂકયો છે જે અગાઉ ૧૨.૦૨ કરોડ ટન મુકાયો હતો.















