![]()
દરરોજ અવરજવર કરતા વાહનચાલકોમાં રોષ
તંત્ર દ્વારા સત્વરે માર્ગ ઉપર નડતરરૂપ ડાળીઓ અને ઝાડી-ઝાંખરાનું ટ્રિમિંગ કરવા માગણી ઉઠી
નડિયાદ: નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ તરફ જતો માર્ગ વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે, ત્યારે આ રોડની બંને સાઈડો તોતિંગ વૃક્ષો તેમજ ઝાડી ઝાંખરાથી છવાઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકોને અવરજવર કરવામાં ઘણી હાલાકી ભોગવવી પડે છે. આ માર્ગ પરના નડતરરૂપ વૃક્ષો ઝાડી-ઝાંખરા દૂર કરવા લાગણી વ્યાપી છે.
નડિયાદ શહેરના વ્યસ્ત ગણાતા કોલેજ રોડ નહેરથી ફતેપુરા રીંગ રોડને જોડતો રોડ સોસાયટી વિસ્તાર તેમજ ફતેપુરા ગામના લોકોની અવરજવરથી ધમધમતો રહે છે. ત્યારે આ રોડની બંને સાઈડ પર ઉગી નીકળેલા નડતરરૂપ વૃક્ષો અને ઝાડી-ઝાંખરા વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યાં છે. લાંબા સમયથી નડતર રૂપ વૃક્ષોની છટણી ન થતા સામેથી આવતા વાહન જોઈ ન શકાતું હોય અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આ ઉપરાંત રસ્તાની બંને તરફ મોટા થયેલા વૃક્ષોની ડાળીઓ માર્ગ પર ઝૂકી રહી છે, જેના કારણે સામેથી આવતા વાહનો જોવામાં ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વળાંક પર દ્રશ્યતા ઓછી થતા અકસ્માતની શક્યતા રહે છે. રોડની કિનારીઓ પર ઉગી નીકળેલા ઝાંખરાને કારણે વાહનચાલકોએ રોડની વચ્ચે વાહન ચલાવવાની ફરજ પડે છે, આ માર્ગ પર રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે નડતરરૂપ ડાળીઓ વાહનચાલકોને દેખાતી નથી, જે ટુ-વ્હીલર ચાલકો માટે જીવનું જોખમરૂપ બની છે. જેથી દરરોજ અવરજવર કરતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે આ માર્ગ પર નડતરરૂપ ડાળીઓ અને ઝાડી-ઝાંખરાનું ટ્રિમિંગ (છટણી) કરવા માગણી ઉઠી છે.















