![]()
Narmada News: નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા બાર વણઝાર ગામ પાસેની કેનાલમાં વડોદરાથી ફરવા આવેલા યુવાનોની કાર ખાબકતા એક કરુણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ યુવાનોને સ્થાનિક યુવકે પોતાના જીવના જોખમે બચાવી લીધા હતા, જ્યારે કાર ચલાવી રહેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, વડોદરાના સોમા તળાવ લીમડી ફળિયામાં રહેતા રોહિત વસાવા, હર્ષલ જગતાપ, સાહિલ નઝીર મલેક અને જયદીપ મૂળજી રાઠોડ એક કારમાં રાજપીપળા નજીક આવેલા બાર વણઝાર ધોધ ખાતે ન્હાવા માટે આવ્યા હતા. સાંજના સમયે ધોધથી પરત વડોદરા જવા નીકળ્યા ત્યારે માર્ગમાં કાર ચાલક રોહિત વસાવાએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, કાર સીધી રોડ નજીક આવેલી કેનાલમાં ખાબકી હતી.
સ્થાનિક યુવકે દેવદૂત બની 3 મિત્રોના જીવ બચાવ્યા
કાર કેનાલમાં પડતાં જ હર્ષલ જગતાપ, સાહિલ નઝીર મલેક અને જયદીપ રાઠોડ ગમે તેમ કરીને સ્થાનિક યુવકની મદદથી કારની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.જો કે, કાર ચલાવી રહેલો રોહિત વસાવા બહાર તો નીકળ્યો, પણ તે તરતા ન આવડવાને કારણે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ અકસ્માતની જાણ બાર વણઝાર ફળિયામાં રહેતા ચંદન દેવા વસાવા નામના યુવકને થતાં તે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ચંદને પોતાના જીવની પરવા કર્યા વિના દોરડાની મદદથી હર્ષલ જગતાપ અને જયદીપ રાઠોડને પાણીમાંથી સુરક્ષિત બહાર ખેંચી લીધા હતા. ત્યારબાદ સાહિલ મલેક નામના યુવાનને ઊંડા પાણીમાં ડૂબતો જોઈ, ચંદને કેનાલમાં કૂદકો મારીને તેને પણ મોતના મુખમાંથી બચાવી લીધો હતો.
આ પણ વાંચો: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઘટનાની જાણ થતાં જ રાજપીપળા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે શોધખોળ બાદ ફાયરની ટીમે રોહિત વસાવાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદથી કેનાલમાં ખાબકેલી કારને બહાર કાઢીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.















