અમદાવાદ,રવિવાર
સોશિયલ મિડીયામાં વિવિધ કંપનીઓના બ્રાંડ પ્રમોશન માટે કે વિડીયો બનાવવા માટે સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર અનેકવાર બીજા લોકોના જીવ જોખમમાં મુકી દે છે. ત્યારે પાર્થ પરમાર નામના સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સરે એક કંપનીની જાહેરાત કરવા માટે સીજી રોડ નવરંગપુરામાં એક કાર સાથે બાઇકનો અકસ્માત થયો છે. તેવો સીન બનાવીને સાંજના સમયે રીતસરનો ટ્રાફિક જામ કરી દીધો હતો. આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા બી ડીવીઝન ટફિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
સોશિયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પાર્થ પરમાર નામના સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર સીજી રોડ પર આવેલી એક એજ્યુકેશન કંપનીના પ્રમોશન માટે એક વિડીયો શુટ કરે છે. જેમાં એચ એલ કોલેજ રોડ પર થાર કારથી બાઇકને અકસ્માત થયાનો સીન શુટ કરતા સમયે રીતસરનો ટ્રાફિક જામ કરે છે અને વિડીયોમાં અકસ્માત બાદનો ઝઘડો થતો હોય છે. જે વિડીયો ટ્રાફિક પોલીસના અધિકારીઓના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. જેના આધારે બી ડિવીઝન ટ્રાફિક પોલીસે પાર્થ પરમાર સહિત ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૫, ૫૪ અને એમ વી એક્ટ ૧૨૨ અને ૧૭૭ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘણા કિસ્સામાં ધ્યાનમાં આવ્યું છે કે સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર બ્રાંડ પ્રમોશન માટે કે તેમની રીલ વાયરલ કરવા માટે લોકો અડચણ રૂપ બને તે હવે વિડીયો બનાવતા હોય છે. ત્યારે સતત વાહનોથી ધમધમતા રસ્તા પર ટફિક જામ કરીને અકસ્માત થયા બાદનો ઝઘડો થતો હોય તેવો પ્લોટ તૈયાર કરીને ગંભીર ભુલ કરવામાં આવી છે. જેથી આ થાર કાર અને બાઇક જપ્ત પણ કરવામાં આવશે.
અગાઉ મંગેશ નામના સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર વિરૂદ્ધ ફરિયાદ થઇ હતી
સોશિયલ મિડીયામાં પોતાના ફોલોઅર્સની સંખ્યા વધારવા માટે ઘણા ઇન્ફ્લુએન્સર નિર્દોષ લોકોને ટારગેટ કરતા હોય છે. જેમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા મંગેશ નામના ઇન્ફ્લુએન્સરે એક વૃદ્ધને ડરાવવાનો પ્રેન્ક કરતા તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત, આર જી મીત નામના ઇન્ફ્લુએન્સર દ્વારા મનોરંજનના નામે નિર્દોષ લોકોને પોલીસના નામે કે અન્ય કોઇ કારણ આપીને રોક્યા બાદ રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવે છે. જેમાં તેનો હેતુ ફોલોઅર્સ વધારવાનો હોય છે. ત્યારે આ પ્રકારના પ્રેન્કના કે લોકોને મુશ્કેલી પડે તે પ્રકારના વિડીયો બનાવતા ઇન્ફ્લુએન્સર પોલીસ દ્વારા ચેતવણી આપવાની સાથે કહેવામાં આવ્યુ છે કે પોલીસ સ્ટેશનમાં કોઇ વ્યક્તિ દ્વારા રજૂઆત થશે તો પણ તપાસ બાદ કાર્યવાહી થશે.














