![]()
અત્રેની નવાપુરા ખારવાવાડ ખાતે ગઈકાલે શનિવારે રાત્રે નજીવી બાબતે થયેલી મારામારી મામલે પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે પાંચ સામે ગુનો નોંધ્યો છે.
ખારવાવાડ ખાતે રહેતો ૨૧ વર્ષનો પ્રગ્નેશ ઉર્ફે બીટ્ટુ અરુણભાઈ ખારવા છૂટક કામ કરે છે. પ્રગ્નેશે ફરિયાદમાં કહ્યું કે, ૧૩ જૂને રાત્રે ૧૦:૩૦ વાગ્યે ખારવાવાડમાં સામાજિક પ્રસંગમાં મનોજ ખારવા (રહે. શિંદે કોલોની, નવાપુરા) એ ૧૪ વર્ષની સગીરાને ગાળો આપી હતી.
ત્યારબાદ મનોજ ખારવા મહોલ્લામાં ઊભો હોઈ તેને મે કહ્યું હતું કે સગીરાને ગાળો કેમ આપે છે. આ દરમિયાન મનોજે નજીકમાં પડેલ બેટ લઈ મારા માથામાં ફટકો માર્યો હતો. અમારા વચ્ચે ઝઘડો થતાં મેં તેને ચાકુ માર્યું છે. ફરિયાદના પગલે પોલીસે મનોજ સામે મારામારીનો ગુનો નોંધ્યો છે,
જ્યારે સામાપક્ષો કલર કામ કરતા ૪૧ વર્ષના મનોજ ખારવાએ ફરિયાદમાં કહ્યું કે, સામાજિક પ્રસંગમાં સગીરાને મારાથી ભૂલથી ધક્કો વાગી જતા બોલાચાલી થઈ હતી.
ત્યારબાદ અરુણ ખારવા, તેનો પુત્ર પ્રગ્નેશ અને રોનક રાવળ (રહે. સલાટવાડા) એ મારી સાથે ઝઘડો કર્યો હતો. રોનક અને સગીરાએ મને પકડી રાખી પ્રગ્નેશે મને છાતી અને પગે ચાકુના ઘા માર્યા છે. હાલ મનોજ ખારવા સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે પ્રગ્નેશ, અરુણ અને રોનકની હત્યાના પ્રયાસના ગુનામાં અટકાયત કરી છે.















