![]()
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર ગૃહથી કાલુપુરા તરફ નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા છ મહિનાથી ચાલી રહેલી આ કામગીરી દરમિયાન સ્થાનિક વેપારીઓ અને રહિશો દ્વારા વારંવાર ગંદકી તથા ગટરના પાણી જાહેર માર્ગ પર છોડવામાં આવતું હોવાની ફરિયાદો કરવામાં આવી રહી છે. આજે ફરી એકવાર ગાંધીનગર ગૃહની આસપાસ પાણીની રેલમછેલ જોવા મળતા લોકો ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા હતા.
વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં માર્ગો પર કાદવ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકો તેમજ આસપાસના વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે ડ્રેનેજ લાઈનની કામગીરી યોગ્ય આયોજન અને દેખરેખ વિના કરવામાં આવી રહી હોવાથી વારંવાર આવી સ્થિતિ સર્જાઈ રહી છે.
અગાઉ પણ સ્થાનિક વેપારીઓએ સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા ગટરના પાણી જાહેર માર્ગ પર છોડવામાં આવતું હોવાની ફરિયાદ કરી હતી. તાજેતરમાં કોંગ્રેસના એક કાઉન્સિલરે પણ કોન્ટ્રાક્ટર દ્વારા વિસ્તારમાં ગંદકી ફેલાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરી મ્યુનિસિપલ તંત્રનું ધ્યાન દોર્યું હતું.
મહત્વની બાબત એ છે કે ગંદકી અને બેદરકારીના મામલે અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. તેમ છતાં સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળતો નથી. જેના કારણે હવે મ્યુનિસિપલ અધિકારીઓની દેખરેખ અને સુપરવિઝનની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
એક જાગૃત નાગરિકે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને સામાન્ય જનતાની મુશ્કેલીઓની કોઈ પરવા નથી. નાગરિકો પાસેથી નિયમિત વેરો વસૂલવામાં આવે છે, પરંતુ તેના બદલામાં જરૂરી અને ગુણવત્તાયુક્ત સુવિધાઓ પૂરી પાડવામાં કોર્પોરેશન નિષ્ફળ જઈ રહ્યું છે.















