Gujarat Exporters Loss: ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુને વધુ ભીષણ બની રહ્યું છે, જેના કારણે એક્સપોર્ટરોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખાડી યુદ્ધ વણસતાં યુએઈ અને ઓમાનના બંદરો પર ગુજરાતના પાંચ હજારથી વધુ કન્ટેનરો અટવાઈ પડ્યા છે. હવે જો આ કન્ટેનરો પરત લાવવા હોય તો ગુજરાતના એક્સપોર્ટરોએ રૂ. 275 કરોડનો ખર્ચવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ઉપરાંત ઈદના સમયે ગારમેન્ટ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. સાથે સાથે જો યુદ્ધ હજુ લંબાશે તો, કેરીના વેપારને પણ મોટી અસર થશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
રેફ્રિજરેશનના અભાવે 800 કન્ટેનરોનો માલ બગડશે
ઈરાન ઈઝરાયલ-અમેરિકા યુદ્ધના લીધે વિશ્વભરના વેપાર ધંધા કટોકટીની સ્થિતિમાં મુકાયાં છે. એક્સપોર્ટ ઈમ્પોર્ટ પર જાણે ગંભીર આફત આવી પડી છે. યુદ્ધની સ્થિતિને લીધે યુ.એ.ઈ.ના ખોરફક્કન પોર્ટ અને ઓમાનના સોહાર પોર્ટ પર ગુજરાતના 5500થી વધુ કન્ટેનરો અટવાઈ પડ્યાં છે. ગુજરાત બટાકા, તરબૂચ, સી ફૂડ, શાકભાજી, ડેરી પ્રોડક્ટ એક્સપોર્ટ કરે છે.
પૂરતા ઇલેક્ટ્રિક પ્લગ્સના અભાવે 800થી વધુ કન્ટેનરોનો માલ બગડવાની ભીતિ.
અત્યારે એવું જાણવા મળ્યું છે કે, ખોરફક્કન પોર્ટ ઉપર 800થી વધુ રેફ્રિજરેટેડ કન્ટેનરો ઉતારી દેવાયાં છે. આ કન્ટેનરોને ઠંડા રાખવા માટે પૂરતાં ઈલેક્ટ્રિક પ્લગ્સની વ્યવસ્થા હોવી જોઈએ. કેપેસિટી ઓછી હોવાથી પોર્ટ પર માત્ર 120 જેટલા પ્લગ્સ ઉપલબ્ધ છે. હવે સ્થિતિ એવી પરિણમી છે કે, રેફ્રિજરેટેડ કન્ટેનરોમાં માલ સડી અથવા તો બગડી જશે. જો આ કન્ટેનરોને પરત લાવવા હોય તો એક્સપોર્ટરોને મોટો ખર્ચ ઉપાડવો પડે તેમ છે. પ્રતિ કન્ટેનર દીઠ આશરે 5 લાખ સુધીનો ખર્ચ થાય. જો યુએઈ-ઓમાનના પોર્ટ ઉપરનાં 5500 કન્ટેનરો પાછા લાવવા હોય તો રૂ. 275 કરોડ ખર્ચ કરવો પડે. જે એક્સપોર્ટરોને પોષાય તેમ નથી.
આ પણ વાંચો: પહેલા પ્રમોશન પછી 300-400 કિ.મી. દૂર બદલી, સરકારના ‘ખેલ’ થી અકળાયા મહેસૂલી કર્મી, ચૂંટણી બહિષ્કારની ચીમકી
ગારમેન્ટ ઉદ્યોગને મોટો ફટકો
બીજુ કે, અમદાવાદ અને સુરતનો ગારમેન્ટ-કપડા ઉદ્યોગ ખાડીના દેશો સાથે સંકળાયેલો છે. ઈદના સમયે યુદ્ધની સ્થિતિ વણસી છે. જેના કારણે સમયસર માલ ન પહોંચે, ઓર્ડર રદ થાય, કન્ટેનરો અટકાઈ જવાથી ગુજરાતના ગારમેન્ટ-કપડા ઉદ્યોગને રૂ. 1500 કરોડનો આર્થિક ફટકો પડ્યો છે. આ જોતા ગુજરાતના ગારમેન્ટ ઉદ્યોગની સ્થિતિ ડામાડોળ થઈ છે. આ તરફ, દર વર્ષે ગુજરાતમાંથી હજારો કિલો કેસર કેરી અને અન્ય વિવિધ કેરી ખાડીના દેશોમાં પહોંચે છે. ગલ્ફના દેશો સાથે માત્ર કેરીનો જ રૂ. 500 કરોડનો વેપાર થાય છે. જો યુદ્ધ લંબાશે તો કેસર કેરીના એક્સપોર્ટ પર મોટી અસર થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ખાડી યુદ્ધ નુકસાન કરશે.
એવી માંગ ઉઠી છે કે, યુદ્ધની પરિસ્થિતિમાં એક્સપોર્ટરો બરબાદ થઈ જાય તેવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર રાહત પેકેજ જાહેર કરે. જોકે, ઉદ્યોગોની સ્થિતિ વધુ વિકટ બની છે ત્યારે કેન્દ્ર સરકારના પેટનું પાણી હલતું નથી.















