NCPI merger NDA Lok Sabha: તૃણમૂલ કોંગ્રેસ(TMC)માંથી બળવો કરનારા સિનિયર સાંસદ સુદીપ બેનર્જી આગામી સમયમાં કેન્દ્ર સરકારમાં મંત્રી બને તેવી પ્રબળ શક્યતા છે. હાલમાં જ TMCના બળવાખોર સાંસદો એક નવી રાજકીય પાર્ટી ‘NCPI’માં જોડાયા છે અને લોકસભા સ્પીકર ઓમ બિરલા આ વિલય(મર્જર)ને સત્તાવાર મંજૂરી આપે તેની રાહ જોઈ રહ્યા છે. સુદીપ બેનર્જી અગાઉ મમતા બેનર્જીના ખૂબ જ વફાદાર નેતા હતા અને તેઓ અગાઉની યુપીએ-2 સરકારમાં પણ મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે.
શર્મિલા સરકારને પણ મળી શકે છે મંત્રી પદ
રાજકીય ચર્ચાઓ મુજબ, બર્ધવાન પૂર્વ બેઠકના બળવાખોર સાંસદ શર્મિલા સરકારને પણ કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના (જૂનિયર) મંત્રી બનાવવામાં આવી શકે છે. જોકે, આ અંગે શર્મિલા સરકારે પોતે અજાણતા વ્યક્ત કરી છે. તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘આ બધી વાતો માત્ર મીડિયામાં ચાલી રહી છે, મને હજુ સુધી પક્ષ તરફથી આવી કોઈ માહિતી આપવામાં આવી નથી.’
NDAમાં NCPI બનશે બીજો સૌથી મોટો પક્ષ
લોકસભા સ્પીકરની મંજૂરી મળતાની સાથે જ ‘NCPI’ પક્ષ 20 લોકસભા સાંસદો સાથે ભાજપ પછી એનડીએ ગઠબંધનમાં બીજો સૌથી મોટો પક્ષ બની જશે. હાલમાં એનડીએમાં ચંદ્રબાબુ નાયડુની ટીડીપી(TDP) પાસે 16 અને નીતીશ કુમારની જેડીયુ(JDU) પાસે 12 સાંસદો છે અને આ બંને પક્ષો પાસે સરકારમાં એક કેબિનેટ અને એક રાજ્યકક્ષાના મંત્રી પદ છે. વિલય બાદ આ નવી પાર્ટીના સાંસદો માટે પણ મંત્રી બનવાના દ્વાર ખુલી જશે. સત્તાવાર નોટિફિકેશન હજુ બહાર પડ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ સ્પીકર ઓમ બિરલાએ આ વિલયને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
આ પણ વાંચો: ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની સિરપ! કેન્દ્ર સરકારે બદલી નાંખ્યો વર્ષો જૂનો નિયમ
ભાજપ અને RSSની મહત્ત્વની બેઠક યોજાઈ
ગઈકાલે સોમવારે સાંજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના ઘરે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને આરએસએસના હોદ્દેદારોની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને વરિષ્ઠ નેતા નીતિન નબીન પણ હાજર હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં સરકાર અને સંગઠનમાં આગામી સમયમાં થનારા સંભવિત ફેરફારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના સૂત્રોએ એવો પણ સંકેત આપ્યો છે કે સુદીપ બેનર્જી મંત્રી પદની ખાતરી મળ્યા બાદ જ આ જૂથમાં જોડાવા માટે તૈયાર થયા છે. આ સિવાય, સંસદ સંકુલમાં નવી પાર્ટી NCPIને ઑફિસ ફાળવવામાં આવે તે માટે સ્પીકર ઓમ બિરલા સમક્ષ સત્તાવાર અરજી પણ કરી દેવામાં આવી છે.
કોંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપો
બીજી તરફ, કોંગ્રેસ પક્ષે આ આખી પ્રક્રિયા પાછળ ગૃહમંત્રી અમિત શાહનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, આ બધું લોકસભામાં એનડીએ માટે બે તૃતિયાંશ બહુમતી મેળવવાની વ્યૂહનીતિના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે. તેમણે ટીડીપી અને જેડીયુ જેવા જૂના પક્ષો પર કટાક્ષ કરતાં કહ્યું કે, લોકશાહીના મૂલ્યોને નુકસાન પહોંચાડીને એક અજાણી પાર્ટીને તેમના કરતાં મોટી બનાવવામાં આવી રહી છે, જેની સામે તેમણે વિરોધ કરવો જોઈએ.














