Punjab Political Crisis : રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના ટોચના સાત સાંસદોએ શુક્રવારે (24 એપ્રિલ) પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો છે. સાત સાંસદોના પક્ષપલટાને લઈને પંજબના મુખ્યમંત્રી ભગવંત માને ધારાસભ્યો સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પાસે મળવાનો સમય માંગ્યો છે. તેઓ રાષ્ટ્રપતિને મળીને ભાજપના જોડાયેલા પોતાના સાંસદોને પાછા બોલાવવા અંગે પોતાની દલીલ રજૂ કરશે. આ ઉપરાંત પક્ષપલટા કાયદા હેઠળ સાંસદોની સભ્યપદ રદ કરવાની માંગ પણ કરવામાં આવી શકે છે.
AAP પક્ષપલટુ સાંસદોને અયોગ્ય ઠેરવવાની માંગ કરશે
સાંસદોના પક્ષપલટા બાદ AAPના નેતા સંજય સિંહે કહ્યું કે, તેમને પક્ષ રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને પક્ષપલટુ કરનારા સાંતેય સાંસદોને ગૃહમાંથી અયોગ્ય જાહેર કરાવની માંગ કરશે. તેમણે કહ્યું કે, પક્ષપલટા વિરોધી કાયદા મુજબ રાજ્યસભા અને લોકસભામાં કોઈપણ પ્રકારનું વિભાજન કે જૂથવાદ ન કરી શકાય. ભલે આમ આદમી પાર્ટી પાસે બે તૃતીયાંશ બહુમતી હોય, તેમ છતાં કોઈપણ કાયદો આવા પક્ષપલટાને મંજૂરી આપતો નથી.
આ પણ વાંચો : રાઘવ ચઢ્ઢા પર પલટવાર કરશે કેજરીવાલ-સિસોદિયા! બળવાખોરો વિરુદ્ધ મોટા નિર્ણયની તૈયારી
પંજાબના CMએ પક્ષપલટુઓને ગદ્દાર ગણાવ્યા
બીજીબાજુ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને (CM Bhagwant Mann) પક્ષ છોડનારા સાતેય સાંસદોને ગદ્દાર ગણાવ્યા હતા. આપ માટે સંદીપ પાઠક અને અશોક મિત્તલની વિદાય આંચકાજનક હતી. આપ નેતાઓએ ભાજપ પર ઓપરેશન લોટસ ચલાવી પંજાબમાં માન સરકારના સારા કામોને રોકવાનું કાવતરું ઘડવાનો આક્ષેપ કર્યો હતો. રાજ્યસભામાં આપના 10માંથી જે સાત સાંસદોએ રાજીનામાં આપ્યા તેમાંથી 6 પંજાબના હતા. હવે ત્રણ સાંસદો સંજય સિંહ, એનડી ગુપ્તા અને બલબિરસિંહ સીચેવાલ બચ્યા છે. આપના સૂત્રોએ દાવો કર્યો કે, આગામી વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલાં આપને તોડવા ભાજપે ઓપરેશન લોટસ ચલાવ્યું.
શુક્રવારે AAPના સાંસદો ભાજપમાં જોડાયા
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના ટોચના સાંસદો રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ, હરભજન સિંહ, સ્વાતિ માલિવાલ, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજિત સાહનીએ ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપ સાથે જોડાવાની જાહેરાત કરી હતી. ચઢ્ઢા, પાઠક અને મિત્તલ ગઈકાલે ભાજપના મુખ્યાલય પર પહોંચીને રાજ્યસભા અધ્યક્ષને ભાજપમાં જોડાવા માટેના દસ્તાવેજો પણ સોંપી દીધા છે. જ્યાં ભાજપ અધ્યક્ષ નીતિન નવીને તેમનું સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો : AAPના ‘ચાણક્ય’ હવે ભાજપમાં: રાઘવ ચઢ્ઢા કરતાં પણ સંદીપ પાઠકનો બળવો કેજરીવાલ માટે વધુ ઘાતક!















