Rahul Gandhi On Commercial LPG Hike : દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. હવે આ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર આકરા હુમલા કર્યા છે.
ચૂંટણી પછી મોંઘવારીની મેં અગાઉથી જ ચેતવણી આપી હતી : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, તેમણે ચૂંટણી બાદ મોંઘવારી વધવાની અગાઉથી ચેતવણી આપી હતી અને હવે તેવું જ થયું છે. તેમણે કહ્યું, આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 993 રૂપિયા વધી ગયા છે. એક દિવસમાં આટલો બધો ભાવ વધારો કરાયો હોય તેવું પહેલીવાર બન્યું છે. તેમણે આ ભાવવધારાને ‘ચૂંટણી બિલ’ ગણાવ્યું છે.
હવે પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે : રાહુલનો દાવો
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વધુમાં લખ્યું છે કે, ‘ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં 1380 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે માત્ર ત્રણ મહિનામાં કિંમત 81 ટકા વધારાઈ છે. આ વધારાની અસર ચાની દુકાન, હોટલ, બેકરી અને મિઠાઈ સહિતની દુકાનો પર પડશે. આ જ કારણે સામાન્ય લોકોનું ભોજન મોંઘી થઈ જશે. ગેસ બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થઈ શકે છે.’ તેમણે કટાક્ષ કર્યો છે કે, પહેલા ગેસ પર સ્ટ્રાઇક કરવામાં આવી, હવે પેટ્રોલ-ડીઝલ પર સ્ટ્રાઈગ કરવામાં આવશે.
આ પણ વાંચો : ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 993નો વધારો
ચૂંટણીઓ પૂર્ણ થતાં જ સિલિન્ડરના ભાવમાં વધારો
ઉલ્લેખનીય છે કે કે, દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂરી થયા બાદ સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે એક સિલિન્ડરની કિંમત 3071.50 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 1 એપ્રિલના રોજ 2078.50 રૂપિયા હતી. આ વધારાની સાથે જ હવે દેશભરમાં રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થઇ જશે. રાંધીને ખાવાની વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો આવશે. આ ઉપરાંત સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે.
કેમ વધ્યા ભાવ?
ગેસના ભાવમાં વધારા પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ મુખ્ય કારણ માનવામાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો બ્લોક હોવાને કારણે ભારત માટે ગેસ અને તેલનો પુરવઠો ખોરવાયો છે. પુરવઠામાં ઘટાડો અને અન્ય સ્થળોએથી આયાત વધારવાને કારણે વધારાની પડતર કિંમતનો બોજ ગ્રાહકો પર આવ્યો છે. કોમર્શિયલ ગેસ મોંઘો થવાને કારણે હોટેલ, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે, જેનાથી સામાન્ય જનતાના ખિસ્સા પર ભાર વધશે.
આ પણ વાંચો : જબલપુર ક્રૂઝ દુર્ઘટના: કાળના પંજામાં પણ માતાએ પુત્રનો સાથ ન છોડ્યો, દ્રશ્ય જોઈ સૌ કોઈ ભાવુક















