![]()
– ખેડા જિલ્લામાં અકસ્માતનો વધુ એક બનાવ
– એકને ઈજા, લીંબાસી પોલીસ દ્વારા અકસ્માત મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ
નડિયાદ : માતર તાલુકાના પાલ્લા ગામના રામાપીરના મંદિર નજીક શનિવારે સાંજે બે બાઈક સામસામે અથડાતા એક બાઈક ચાલકનું ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
માતર તાલુકાના પાલ્લા ગામમાં નીલકંઠ મહાદેવ પાછળ રહેતા અશોકકુમાર સુખાભાઈ બેચરભાઈ વસાવા (ઉં.વ.૪૩) મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના સાસુ નર્મદાબેન સોમાભાઈ વસાવા અને સાળો મહેન્દ્રભાઈ સોમાભાઈ વસાવા તેમની સાથે રહે છે. શનિવારે તેમનો દીકરો સુનિલ (ઉં.વ.૧૯) મોટરસાયકલ લઈને પાલ્લા ગામમાં જવા નિકળ્યો હતો ત્યારે તેના મિત્ર દીપક અરવિંદ ભાઇ વણઝારાને ગામમાં જવું હોવાથી તેને મોટર સાયકલ પર બેસાડીને જઇ રહ્યાં હતા. ત્યારે રામાપીરના મંદિર નજીકથી પસાર થતો હતો ત્યારે સામેથી મોટરસાયકલ લઇ આવતા હાદક બચુભાઈ બામ્બાએ મોટરસાયકલ સાથે અથડાવતા બાઈક ચાલક સુનીલને રોડ ઉપર પડી જતા માથામાં ડાબી બાજુ ઇજા પહોંચી હતી. જ્યારે દીપકભાઈ અરવીદભાઈ વણઝારાને માથામાં તથા શરીરે ઇજાઓ થઇ હતી. જેથી બંનેને સારવાર માટે ધોળકા પાશ્વનાથ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે સુનીલને ગંભીર ઇજાઓ થયેલું છે તેવુ જણાવતા સુનીલને વધુ સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલ, અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં રવિવારે સવારે સુનીલ અશોકભાઈ વસાવાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે અશોકભાઈ સુખાભાઈ વસાવાની ફરિયાદ આધારે લીંબાસી પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.















