“પધાર્યા મા અંબા રેવા (માંગરોલ) ના આંગણે” ની ભાવનાથી દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં જોડાતા માઈ ભક્તોએ અંબિકા રથમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચૈત્ર માસ દરમિયાન નર્મદા પરિક્રમા માર્ગ પર ગબ્બર ૫૧ શક્તિપીઠ પરિક્રમાના પ્રચાર–પ્રસાર માટે અંબિકા રથ મોકલવામાં આવ્યો છે. નર્મદા જિલ્લામાં આવેલ માંગરોલ ગામના આગેવાન નીતિનભાઈ તથા સમગ્ર ગ્રામજનો દ્વારા અંબિકા રથનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગ્રામજનો દ્વારા દિવસ–રાત પરિક્રમાવાસીઓની સેવા માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ પ્રાપ્ત પુજારીશ્રીઓ દ્વારા દૈનિક ધોરણે અંબિકા રથમાં માતાજીની પૂજન–અર્ચન કરવામાં આવે છે. ભારત તેમજ વિદેશથી પરિક્રમા કરવા આવતા ભાવિક ભક્તો અંબિકા રથમાં માતાજીના દર્શન કરી આધ્યાત્મિક આનંદનો અનુભવ કરે છે.માંગરોલ ઉપરાંત નર્મદા જિલ્લાના પોઈચા, શહેરાવ, ગુવારવા, તિલકવાડા સહિતના ગામોમાં અંબિકા રથ દ્વારા ધાર્મિક ભ્રમણ કરવામાં આવ્યું છે.
ગ્રામજનો દ્વારા બાલિકા પૂજન તથા ધાર્મિક વેશભૂષા સહિતના વિવિધ કાર્યક્રમો દૈનિક ધોરણે કરવામાં આવ્યા.
નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના માંગરોલ ગામમાંથી છેલ્લા ૩૧ વર્ષથી ભાદરવી પૂનમે અંબાજી ખાતે પગપાળા સંઘ આવે છે. ૧૫૦ જેટલા પદયાત્રીઓ માંગરોલ થી અંબાજી સુધી દર્શનાર્થે પધારે છે. અંબિકા રથ દ્વારા નર્મદા પરિક્રમાવાસીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં મા અંબાની અખંડ ભક્તિના દર્શન થયા હોવાનું મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદી એ અખબારી યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી















