સ્વચ્છ ચલાલા તરફ ઐતિહાસિક પગલું : રૂ. 30 લાખના 6 નવા ટ્રેક્ટર-ટ્રોલીનું લોકાર્પણ
ધારાસભ્ય જે.વી. કાકડિયાના પ્રયાસોથી સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના અંતર્ગત મળેલી ગ્રાન્ટથી શહેરના તમામ 6 વોર્ડમાં સ્વચ્છતા વ્યવસ્થા બનશે વધુ સશક્ત..
ચલાલા (દાનાભગત)
તા,15,6,
ચલાલા શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના અંતર્ગત અંદાજે રૂ. 30 લાખના ખર્ચે ખરીદવામાં આવેલા 6 નવા ટ્રેક્ટર-ટ્રોલીનું લોકાર્પણ વિશ્વવિખ્યાત અંશા અવતાર દાન મહારાજની પવિત્ર જગ્યામાં પૂજ્ય મહંત મહારાજ શ્રી વલકુ બાપુના આશીર્વાદ અને પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય રીતે સંપન્ન થયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ચલાલા શહેરને સ્વચ્છતા ક્ષેત્રે સમગ્ર વિસ્તારમાં આદર્શ અને ઉદાહરણરૂપ બનાવવા માટે આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. શહેરના તમામ 6 વોર્ડમાં એક-એક ટ્રેક્ટર-ટ્રોલી અર્પણ કરવામાં આવતા હવે ઘરઆંગણે કચરો એકત્ર કરવાની વ્યવસ્થા વધુ મજબૂત બનશે. નગરપાલિકા દ્વારા દરરોજ ડોર-ટુ-ડોર ભીનો અને સૂકો કચરો એકત્ર કરવામાં આવશે, જેના કારણે નાગરિકોને જાહેર રસ્તાઓ કે ખુલ્લી જગ્યાઓમાં કચરો નાખવાની જરૂરિયાત રહેશે નહીં.
આ મહત્વાકાંક્ષી યોજના માટે લોકલાડીલા અને વિકાસશીલ ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયાના સતત પ્રયત્નો અને રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી અસરકારક રજૂઆતોના પરિણામે ગ્રાન્ટ મંજૂર થઈ હોવાનું કાર્યક્રમમાં જણાવાયું હતું. ચલાલા શહેર સ્વચ્છતા અને વિકાસની દિશામાં અગ્રેસર રહે તે માટે ધારાસભ્યશ્રીએ હંમેશા આગવી ચિંતા દર્શાવી છે અને તેનુ જ આ સુખદ પરિણામ હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું.
નગરપાલિકાના પ્રમુખ પતિ શ્રી જયરાજભાઈ વાળાની દીર્ઘદ્રષ્ટિ, વિકાસલક્ષી અભિગમ, તમામ સભ્યો વચ્ચેનું સુમેળભર્યું સંકલન તથા શહેરના હિત માટે સતત કાર્ય કરવાની ભાવનાએ આ યોજનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમજ દાન મહારાજની જગ્યાના લઘુ મહંત અને અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મહાવીર બાપુ સાથેના સંકલન અને માર્ગદર્શનના કારણે આ સ્વચ્છતા અભિયાનને વધુ ગતિ મળી હોવાનું પણ જણાવાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ શહેરના છેવાડાના માનવી સુધી પહોંચે અને ચલાલાનો સર્વાંગી વિકાસ થાય તે માટે નગરપાલિકાની ટીમ સાથે મળીને સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે. વિકાસના દરેક કાર્યોમાં પોતાનો સહયોગ અને માર્ગદર્શન મળતું રહેશે તેવી તેમણે ખાતરી આપી હતી.
નગરપાલિકાના પ્રમુખ પતિ શ્રી જયરાજભાઈ વાળાએ આગામી સમયમાં ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ શહેરમાં માર્ગ, ગટર, સ્વચ્છતા, પાણી અને અન્ય સુવિધાઓના અનેક વિકાસકાર્યો હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવી વિકાસની ભાવિ રૂપરેખા રજૂ કરી હતી.
લઘુ મહંત તથા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મહાવીર બાપુએ એકતા, સહકાર અને સેવાભાવથી શહેરના વિકાસમાં જોડાવા સૌને પ્રેરણા આપી હતી. જ્યારે પૂજ્ય વલકુ બાપુએ આશીર્વચન પાઠવી નગરપાલિકાના યુવા પ્રતિનિધિઓને ચલાલાને વધુ સ્વચ્છ, સુંદર અને આદર્શ શહેર બનાવવા માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે શહેરના વિકાસ માટે ભૂતકાળમાં યોગદાન આપનાર આગેવાનોને પણ યાદ કરી તેમની સેવાઓને બિરદાવી હતી.
કાર્યક્રમમાં ગાયત્રી સંસ્કારધામના વડા પૂજ્ય રતિદાદા મહેતા, ભીમનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી મયુરબાપુ, શ્રી મોગલ માં માનવસેવા ટ્રસ્ટના વડા શ્રી રાજુદાદા જાની, અમરેલી જિલ્લા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ શ્રી જેન્તીભાઈ પાનસુરિયા, શ્રી ભોજલરામ સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી ગોરધનભાઈ ગેડિયા, શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ કાથરોટીયા, નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવિયા, પૂર્વ પ્રમુખ શ્રી હિંમતભાઈ દોંગા, શ્રી ભઈલુભાઈ વાળા, પ્રકાશ ભાઈ કારીયા, સૂર્યવીર ભાઈ વાળા, સહિત વિવિધ સામાજિક, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓના આગેવાનો, નગરપાલિકાના તમામ સભ્યો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
દરેક વોર્ડમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોએ આ નવી સ્વચ્છતા વ્યવસ્થાને આવકારી નગરપાલિકા અને ધારાસભ્યશ્રીની કામગીરીને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન સેવાભાવી તબીબ ડૉ. દેવકુભાઈ વાળાએ કર્યું હતું.
ચલાલા શહેરને સ્વચ્છતા ક્ષેત્રે નવી ઓળખ અપાવનાર આ યોજના આગામી સમયમાં શહેરને વધુ સ્વચ્છ, આરોગ્યપ્રદ અને વિકાસશીલ બનાવવામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે














