– 1 શક્તિપીઠમાં દારૂ 2 દાનપેટીમાંથી ચોરી 3 ધાર્મિક લાગણીને ઠેસ
– અંબાજી મંદિરમાં પાર્ટી અંગેના તપાસ રિપોર્ટ બાદ દારૂ-નોનવેજ પાર્ટી અંગે છ સામે, દાનની રકમ સેરવી લેવામાં પાંચ સામે ફરિયાદ
જૂનાગઢ: અંબાજી મંદિરે દારૂ અને નોનવેજની પાર્ટીની તપાસ પૂર્ણ થતા તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગત તા.રર-૧૦-ર૦રપના સમગ્ર ઘટના બની હોવાનો ખુલાસો થયો છે. આ બનાવમાં અલગ-અલગ ત્રણ ગુનાઓ ભવનાથ પોલીસ સ્ટેશનમાં દાખલ થયા છે. એક ધાર્મિક લાગણી દુભાવવાનો, બીજો મંદિરમાં પ્રતિબંધિત દારૂ- નોનવેજની પાર્ટી કરવાનો અને મંદિરમાં આવતા દાનની રકમનો ગફલો કરવા અંગે છેતરપિંડી- વિશ્વાસઘાત સહિતનો ગુનો દાખલ કરવા મામલતદાર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ કૃત્યમાં જેટલા સંડોવાયેલા છે તે અંબાજીના બ્રહ્મલીન મહંત તનસુખગીરીના અનુયાયીઓ છે.
ગિરનાર પર આવેલી શક્તિપીઠ અંબાજી મંદિરની કલંકિત ઘટનાની તપાસ પ્રાંત અધિકારીને સોંપવામાં આવી હતી તેણે કલેક્ટરને સોંપેલો રિપોર્ટ જાહેર કરતા કલેક્ટર અનિલ રાણાવાસીયાએ જણાવ્યું હતું કે, અલગ-અલગ બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. જેમાં મંદિરમાં દારૂ-નોનવેજની પાર્ટી અને મંદિરમાં આવતા દાનની રકમ ખાનગી વ્યક્તિઓએ લઈ લેવાની ઘટના બની છે. પૂજારી કિશોર ચૌહાણનો પુત્ર અભિષેક તેના પિતાને બદલે તે પૂજા કરવા માટે અંબાજી મંદિરે રોકાયો હતો ત્યારે તેણે દારૂ અને નોનવેજની પાર્ટી કરવા તેમના મિત્રોને બોલાવ્યા હતા. કુલ છ વ્યક્તિઓએ મંદિરના ગોખમાં દારૂ પીધો હતો અને ત્યારબાદ મંદિરના ભંડારામાં નોનવેજ ખાધું હતું. બીજી ઘટનામાં સીસીટીવી સહિતના પુરાવાઓ ધ્યાને લેતા સામે આવ્યું છે કે, પૂજારી સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ સેવાપૂજા કરતા હતા. મંદિરની દાનપેટી પર કપડું તથા વાસણ રાખી તેમાં દાન ધરવા માટે શ્રધ્ધાળુઓને કહેતા હતા. તેમાં જે દાન આવે તે પોતે લઈ લે છે. આ અંગે તપાસ દરમ્યાન તેઓએ જે મંદિર ટ્રસ્ટને મળતા દાનની લીધેલી રકમ પરત જમા કરાવી હોય તેવા કોઈ પુરાવા આપી શક્યા નથી. આ બનાવમાં બે ફરિયાદ વહીવટદાર એટલે કે સિટી મામલતદાર દ્વારા અને એક ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ ખાનગી વ્યક્તિ દ્વારા નોંધાવવામાં આવી છે.
મંદિરે સીડી મારફત દારૂ અને નોનવેજ પહોંચ્યું હતું
દારૂની પાર્ટીમાં છગન ડાભી નામનો વ્યક્તિ સીડી મારફત દારૂ અને નોનવેજ લઈ મંદિરે પહોંચ્યો હતો. જ્યાં અભિષેક કિશોરસિંહ ચૌહાણ તથા તેના બે સગીર મિત્ર, છગન ડાભી, નિખીલ મેઘનાથી અને જીજ્ઞોશ ડાભીએ દારૂ અને નોનવેજની પાર્ટી કરી હતી. આ તમામ શખ્સો સામે ગુનો દાખલ થયો છે. સીડી મારફત દારૂ અને નોનવેજ લઈ ગયા ત્યારે સીડીના ચેકિંગમાં કોણ હતું તે અંગેની પણ તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મંદિરમાંથી પાંચ શખ્સો નાણાંનો ગફલો કરતા હતા
મંદિરની દાનપેટીને બદલે ભેટની રકમનો ગફલો કરવા બદલ યોગેશગીરી, દુષ્યંતગીરી, દેવગીરી, કુંદનગીરી અને ભરતનાથ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત, મંદિર ટ્રસ્ટની રકમ બારોબાર લઈ લેવા સહિતનો ગુનો મંદિરના વહીવટદાર અને જૂનાગઢ શહેર મામલતદાર દ્વારા નોંધાવવામાં આવ્યો છે. આ તમામ પૂજારીએ અનઅધિકૃત રીતે મંદિરમાં પૂજા કરી દાનની રકમનો ગફલો કર્યો છે.
અન્ય કર્મીઓ તમામ કરતુતો જાણતા હતા છતાં છૂપાવ્યું
તા.ર૯-૧૧-ર૦ર૪થી મંદિરમાં વહીવટદારનું શાસન આવ્યું છે. મંદિરમાં નવ પૂજારી, એક પીઆરઓ, એક રસોયો અને એક સફાઈ કામદાર મળી કુલ ૧ર વ્યક્તિઓને પગાર આપવામાં આવતો હતો. દારૂ-નોનવેજની પાર્ટી તથા મંદિરના દાનની રકમ લઈ લેવાની ઘટનામાં અન્ય કર્મચારીઓ જાણતા હોવા છતાં તેઓએ જાણ ન કરી તે બદલ તમામને છુટા કરી દેવામાં આવ્યા છે.















