![]()
West Bengal Elections: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં ભાજપની જીતની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના ગણતરીના કલાકોમાં જ રેલવે તંત્ર દ્વારા ગુજરાતના વિવિધ શહેરોથી પશ્ચિમ બંગાળ માટે ચાર સ્પેશિયલ વન-વે ટ્રેનોની જાહેરાત કરવામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
રાતોરાત ટ્રેનો દોડાવવાનો નિર્ણય
રેલવે દ્વારા મુસાફરોની સુવિધાના બહાને રાજકોટ, અમદાવાદ, ભુજ અને વટવા સ્ટેશનો પરથી હાવડા અને કોલકાતા માટે ટ્રેનોના શિડ્યુલ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ અને ભુજ આ બંને સ્ટેશનો પરથી ગુરુવારે સાંજે જ બે સ્પેશિયલ ટ્રેનો રવાના કરી દેવામાં આવી હતી. અમદાવાદ અને વટવા આ સ્ટેશનો પરથી શુક્રવારે (પહેલી મે) વધુ બે ટ્રેનો દોડાવવામાં આવશે.
વિજયોત્સવ કે કારીગરોની વાપસી?
પરિણામો જાહેર થવાને હજુ ચાર દિવસની વાર છે, તે પહેલા જ આ રીતે રાતોરાત લેવાયેલા નિર્ણયથી આશ્ચર્ય સર્જાયું છે. લોકમુખે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે એક્ઝિટ પોલ મુજબ બંગાળમાં ભાજપના સંભવિત વિજયોત્સવમાં મેદની ભેગી કરવા માટે આ તત્કાલ પગલું લેવામાં આવ્યું હોઈ શકે છે.
બીજી તરફ, એવી પણ છાપ ઉપસી રહી છે કે જે બંગાળી કારીગરો મતદાન કરવા માટે વતન ગયા હતા, તેમને પરત લાવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: AMCમાં ભાજપના 51 પટેલ, 14 જૈન અને 16 બ્રાહ્મણ ઉમેદવારો જીત્યાં, જોઇ લો જ્ઞાતિ આધારિત લેખા જોખા
અગાઉ પણ ટ્રેનો બની હતી ચર્ચાનું કેન્દ્ર
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ટ્રેનોનો મુદ્દો અગાઉ પણ વિવાદમાં રહ્યો છે. થોડા દિવસો પહેલા સુરત અને અન્ય શહેરોમાંથી હજારો બંગાળી કારીગરોને મતદાન માટે વતન મોકલવામાં આવ્યા હતા. તે સમયે વિરોધ પક્ષો દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કારીગરોને મફત ટિકિટ અને ભોજન આપીને શાસક પક્ષ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા છે.
હાલમાં એક્ઝિટ પોલના આંકડા ભાજપની તરફેણમાં હોવાથી, રેલવેની આ ‘સ્પેશિયલ’ દોડધામને રાજકીય ચશ્માથી જોવામાં આવી રહી છે.















