![]()
West Bengal Politics News : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઊંધા માથે પછળાયેલી મમતા બેનર્જીની પાર્ટી તૃમણૂલ કોંગ્રેસ(TMC)માં ભારે ઉથલ-પાથલ ચાલી રહી છે. હાર બાદ ટીએમસીના અનેક નેતાઓ મમતાથી નારાજ થયેલા છે, તો કેટલાક સાંસદો-નેતાઓ પાર્ટીને અલવિદા કહીને ભાજપમાં જોડાઈ ગયા છે, ત્યારે હવે ટીએમસીએ મુખ્યમંત્રી અધિકારીના દાવા બાદ તાત્કાલીક બે ધારાસભ્યો, રિતબ્રત બેનર્જી અને સંદીપન સાહાને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે.
મુખ્યમંત્રીના દાવા બાદ TMCની કાર્યવાહી
વાસ્તવમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની પત્રકાર પરિષદ યોજીને દાવો કર્યો હતો કે, રિતબ્રત બેનર્જી(Ritabrata Banerjee) અને સંદીપ સાહા(Sandipan Saha)ને ફરિયાદ કર્યા બાદ વિધાનસભામાં કથિત નકલી સહીના કેસની CID તપાસ શરૂ કરાઈ છે. ત્યારબાદ ટીએમસીએ બંને નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે.
આ પણ વાંચો : દક્ષિણ ભારતમાં ભાજપને મોટો ઝટકો? નારાજ યુવા નેતા નવો પક્ષ બનાવે તેવી અટકળો
60 ધારાસભ્યો ગેરહાજર રહેતા મમતાની બેઠક રદ
સોમવારે મમતા બેનર્જીએ કાલીઘાટ સ્થિત પોતાના નિવાસ્થાને તમામ ધારાસભ્યોની એક મહત્ત્વની બેઠક બોલાવી હતી. જોકે, આશરે 60 જેટલા ધારાસભ્યો આ બેઠકમાં આવ્યા ન હોવાથી આખરે મીટિંગ રદ કરવી પડી હતી. પક્ષમાંથી હાંકી કઢાયેલા સંદીપન સાહા પણ આ ગેરહાજર ધારાસભ્યોમાં સામેલ હતા. આનાથી એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, વિધાનસભા ચૂંટણી બાદ ટીએમસીના અનેક નેતાઓ, સાંસદો અને ધારાસભ્યોએ મમતા બેનર્જીને ગણકારવાનું બંધ કરી દીધું છે. જોકે, TMC પ્રવક્તા કુણાલ ઘોષે દાવો કર્યો છે કે મોટાભાગના ધારાસભ્યોએ ફોન કરીને અગાઉથી જ ન આવી શકવાની જાણ કરી દીધી હતી, કારણ કે તેઓ પોતપોતાના વિસ્તારમાં હિંસા સામે લડી રહ્યા છે.
સંદીપન સાહાના પક્ષ પર આક્ષેપ
બીજી તરફ હાંકી કઢાયેલા સંદીપન સાહાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વિધાનસભામાં પક્ષના નેતા, ઉપનેતા અને ચીફ વ્હીપની નિમણૂક અંગે અગાઉ એક બેઠક યોજાઈને પ્રસ્તાવ પસાર થઈ ચૂક્યો હતો. પરંતુ આ પ્રસ્તાવ વિધાનસભામાં મોકલતા પહેલા જરૂરી નિયમોનું પાલન ન થતાં સમગ્ર મામલો તપાસના દાયરામાં આવ્યો હતો. જ્યારે એકવાર નિર્ણય લેવાઈ ગયો હતો, તો ફરીથી કઈ પ્રક્રિયા હેઠળ આ બેઠક બોલાવાઈ તે અંગે તેમના મનમાં સવાલ હતા. આ કારણોસર તેમને બીજી બેઠકમાં હાજર રહેવાનું કોઈ વ્યાજબી ન લાગતા તેઓ ગયા ન હતા. સામાન્ય રીતે પક્ષના નિર્ણયો સામે જાહેરમાં ન બોલતા TMC નેતાઓમાં સાહાનો આ વિરોધ એક મોટો બળવો માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : CBSE વિવાદ: ઉત્તરવહીઓ સ્કેન કરવા મોબાઈલ ફોનનો ઉપયોગ થયો? રાહુલ ગાંધીનો મોટો આરોપ















