![]()
Congress Candidate Selection In Banaskantha: બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી કરવા માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયામાં ચૂંટણી લડવા માંગતા દાવેદારો પાસેથી ચૂંટણી જીત્યા બાદ પક્ષ પલટો નહીં કરે તેવી લેખિતમાં બાહેંધરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, કોંગ્રેસના પ્રતીક પર જીત્યા બાદ ઉમેદવારો પણ પક્ષ પલટો કરતા હોવાનો કોંગ્રેસને ભય હોવાથી આ નિર્ણય કરાયો છે.
નિર્ણયથી કેટલાક દાવેદારોમાં નારાજગીનો સૂર
બનાસકાંઠામાં જિલ્લા, તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પાલનપુર ખાતે સેન્સ લેવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસમાં પક્ષ પલટો રોકવા માટે સૌપ્રથમવાર પક્ષ પલટો નહિ કરે તેવી બાહેંધરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી જીત્યા બાદ તેઓ પક્ષ પલટો ન કરે તે માટે કોંગ્રેસ દ્વારા નવો કીમિયો અજમાવવામાં આવ્યો છે જેમાં આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોજાનાર ચૂંટણી લડવા માંગતા દાવેદારોને ચૂંટણી જીત્યા બાદ તેઓ પક્ષ પલટો નહિ કરે તેવું લેખિતમાં સ્ટેમ્પ પર નોટરી કરાવીને બાહેંધરી લેવાશે.
આ પણ વાંચો: સાબરકાંઠા અને અરવલ્લીની 5 નપામાં 40થી વધુ કોર્પોરેટરના પત્તા કપાશે, ભાજપના નિયમ છે કારણ..
બાહેંધરી બાદ પક્ષ પલટો કરશે તો કાર્યવાહી કરાશે
પાલનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સેનજીભાઈ ડેલવાડિયાએ જણાવ્યું કેટલાક બનાવોમાં કોંગ્રેસના પ્રતિક પર જીતેલા ઉમેદવારો લોભ લાલચમાં આવીને પણ પક્ષ પલટો કરતા હોય છે ત્યારે આવી પક્ષ વિરોધી પ્રવૃત્તિને રોકવા માટે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં જે ઉમેદવાર ચૂંટણી જીત્યા બાદ પણ પક્ષપલટો ન કરે તે માટે તેમની પાસે સ્ટેમ્પ પર નોટરી કરીને બાહેંધરી પત્રક લેવામાં આવશે તેમ છતાં કોઈ ઉમેદવાર ચૂંટણી જીત્યા બાદ પક્ષ પલટો કે પાર્ટીના વ્હીપનો અનાદર કરશે તો તેની સામે પક્ષંતર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.















