![]()
Anil Ambani ED Action : અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં 3,034.90 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી બાદ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ વિરુદ્ધ અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિનો આંકડો 19,344 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે.
અમદાવાદ સહિત અનેક રાજ્યોમાં સંપત્તિઓ ટાંચમાં
તપાસ દરમિયાન ઈડીએ પ્રમોટર ગ્રુપની ઘણી મોંઘી સંપત્તિઓ શોધી PMLA હેઠળ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. આ સંપત્તિઓમાં મુંબઈની ઉષા કિરણ બિલ્ડિંગમાં આવેલો એક લક્ઝરી ફ્લેટ અને પુણેના ખંડાલામાં આવેલું ફાર્મહાઉસ સામેલ છે. આ ઉપરાંત ગુજરાતમાં અમદાવાદના સાણંદ ખાતે આવેલો જમીનનો મોટો ટુકડો પણ ટાંચમાં લેવાયો છે. તેમજ રાઈસી ઇન્ફિનિટી પ્રાઇવેટ લિમિટેડના નામે રહેલા રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 7.71 કરોડ શેર પણ જપ્ત કરવામાં આવ્યા છે.
શું હતો મામલો?
આ મામલો બેંકો સાથેની મોટી છેતરપિંડી સાથે જોડાયેલો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને LIC જેવી કંપનીઓએ ફરિયાદ કર્યા બાદ CBIએ FIR નોંધી હતી જેના આધારે ઈડીએ તપાસ હાથ ધરી છે. રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને તેમની અન્ય કંપનીઓએ ભારતીય અને વિદેશી બેંકો પાસેથી મોટું દેવું લીધું હતું જેમાંથી આશરે 40,185 કરોડ રૂપિયા હજુ પણ બાકી છે અને આ રકમ NPA જાહેર થઈ ચૂકી છે.
અનિલ અંબાણીએ સંપત્તિ બચાવવા વ્યૂહરચના બનાવી હતી
ઈડીની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, સંપત્તિઓને બેંકોની લેણી નિકળતી રકમથી દૂર રાખવા માટે ખાસ વ્યૂહરચના બનાવાઈ હતી. અનિલ અંબાણીએ બેંકોને પોતાની પર્સનલ ગેરંટી આપી હતી પરંતુ અંગત મિલકતો બચાવવા માટે તેને રાઈસી ટ્રસ્ટ હેઠળ રાખવામાં આવી હતી. આ ટ્રસ્ટ અનિલ અંબાણી પરિવારનું ખાનગી ટ્રસ્ટ છે જેનો હેતુ બેંકોથી મિલકતો સુરક્ષિત રાખવાનો હતો.
જપ્ત મિલકતો પર કાયદાકીય પ્રક્રિયા પૂરી કરાશે
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ કેસમાં ફંડ ડાયવર્ઝન અને મની લોન્ડ્રિંગની તપાસ કરી રહી છે. ઈડીના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલી આ મિલકતો પર કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ તેને વેચીને મળેલી રકમ પીડિત બેંકોને સોંપવામાં આવશે. આ મામલે એજન્સી દ્વારા વધુ તપાસ હજુ ચાલુ છે.















