![]()
Mamata Banerjee instruction to agents for re-couniting: પશ્ચિમ બંગાળમાં 4 મેના રોજ (આવતીકાલે) થનારી મતગણતરી પૂર્વે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ પાર્ટીના કાઉન્ટિંગ એજન્ટો અને નેતાઓ સાથે દોઢ કલાક સુધી વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે મતગણતરી દરમિયાન અત્યંત સતર્ક રહેવા અને ખાસ સંજોગોમાં ફરીથી મત ગણતરી (રિ-કાઉન્ટિંગ) કરાવવા માટે કડક સૂચનાઓ આપી હતી.
મમતા બેનરજીની એજન્ટોને ખાસ સૂચનાઓ
મમતા બેનરજીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જે બૂથ પર ભાજપ 500 થી 700 કે 1000 મતોના ઓછા અંતરથી આગળ હોય, ત્યાં એજન્ટોએ તરત જ ફરીથી મતોની ગણતરી કરવાની માંગ ઉઠાવવી. મતગણતરી સોમવારે સવારે 8 વાગ્યે શરૂ થશે, પરંતુ તમામ એજન્ટોને સવારે 6 વાગ્યા સુધીમાં કેન્દ્રો પર પહોંચી જવા આદેશ અપાયો છે. જે વિસ્તારોમાં ગણતરી કેન્દ્રો દૂર છે, ત્યાંના એજન્ટોને રવિવારે રાત્રે જ નજીકની હોટલ કે લોજમાં રોકાઈ જવા સલાહ આપી છે જેથી કોઈ વિલંબ ન થાય. ઉપરાંત મમતા બેનરજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમની પાર્ટી 200 થી વધુ બેઠકો જીતશે.
આ પણ વાંચો:રીલ્સ માટે જર્જરિત ટાંકી પર ચઢ્યા 5 મિત્રો, પગથિયાં તૂટી જતાં 1નું મોત, 2નું IAF હેલિકોપ્ટરથી રેસ્ક્યુ
અભિષેક બેનરજીના ભાજપ અને એક્ઝિટ પોલ પર પ્રહાર
આ બેઠકમાં હાજર રહેલા તૃણમૂલના રાષ્ટ્રીય મહા સચિવ અભિષેક બેનરજીએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, જે એક્ઝિટ પોલમાં ભાજપને આગળ બતાવવામાં આવી રહ્યું છે, તેનો મુખ્ય હેતુ શેરબજારને પ્રભાવિત કરવાનો છે. અભિષેક બેનરજીએ જણાવ્યું કે 2021 માં મળેલી 215 બેઠકો કરતા પણ આ વખતે પાર્ટી વધુ બેઠકો જીતશે.
ચૂંટણી પંચની ટીકા
અભિષેક બેનરજીએ સ્થાનિક સ્તરે કેન્દ્રીય દળો દ્વારા કાર્યકરોને હેરાન કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો અને અસંવિધાનિક આચરણ કરનાર નિરીક્ષકો સામે કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. તૃણમૂલ કોંગ્રેસે તેના એજન્ટોને સૂચના આપી છે કે જ્યાં સુધી મમતા બેનરજી મીડિયાને સંબોધિત ન કરે ત્યાં સુધી કોઈએ ગણતરી કેન્દ્ર છોડવું નહીં.















