![]()
ખંભાળિયા – ભાણવડ રોડ પર અકસ્માતના પગલે કારમાં આગ
મેઘપરના ગેરેજ સંચાલક યુવાન પોતાના બે મિત્રો સાથે ખંભાળિયા ખાતે કાર મૂકી પરત જતા હતા ત્યારે બનાવ
જામખંભાળિયા: ખંભાળિયા – ભાણવડ રોડ પર ભાણખોખરી ગામના પાટિયે કાર અને બોલેરો પીકઅપ વાહન વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં જઈ રહેલા એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ થઇ હતી. અકસ્માતના પગલે કારમાં આગ ભભૂકી ઉઠી હતી.
ખંભાળિયા – જામનગર માર્ગ પર મેઘપર પડાણા ગામે ગેરેજનું કામ કરતા વિજયભાઈ હીરાભાઈ રાઠોડ નામના ૩૩ વર્ષના યુવાન કાર મૂકવા ખંભાળિયાના પોર ગેઈટ ખાતે આવ્યા હતા. તેમની સાથે તેમના મિત્ર પારસભાઈ અને યશ ચંદ્રવાડીયા નામના યુવાનો પણ હતા. બાદમાં કારમાં તેઓ ગત રાત્રિના પરત જવા માટે નીકળ્યા હતા.
ખંભાળિયા – ભાણવડ માર્ગ પર ભાણ ખોખરી ગામના પાટીયા નજીક વહેલી સવારે આશરે ચારેક વાગ્યાના સુમારે પહોંચતા આ માર્ગ પર જઈ રહેલા એક બોલેરો પીકઅપ વાહન સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર ટક્કરમાં કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.
આ અકસ્માતમાં કારમાં જઈ રહેલા વિજયભાઈ રાઠોડને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. પરંતુ સારવાર કારગર નીવડે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય બે યુવાનો પારસભાઈ અને યશભાઈને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ આગના કારણે મહદ્ અંશે સળગી જવા પામી હતી. સાથે બોલેરોના આગળના ભાગમાં પણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ મયુરભાઈ હીરાભાઈ રાઠોડ (ઉ.વ. ૨૨, રહે. અમરદંડ, તા. રાણાવાવ)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બોલેરો વાહનના ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.















