ભાવનગર, તા. ૧૭ ઑગસ્ટ, ૨૦૨૬:
શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન. સી. ગાંધી અને શ્રીમતી બી. વી. ગાંધી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ભાવનગર ખાતે ભાનુ સ્કૉલરશિપ અંતર્ગત પસંદ થયેલ ૪૦ વિદ્યાર્થિનીઓ માટેનો ઉદઘાટન કાર્યક્રમ તા. ૧૭ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કૉલેજના સભાખંડમાં યોજાયો હતો.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થિનીઓના શૈક્ષણિક વિકાસની સાથે તેમના સર્વાંગી વિકાસ, વ્યક્તિત્વ ઘડતર, કૌશલ્ય વિકાસ, માનસિક સ્વાસ્થ્ય અને જીવનલક્ષી શિક્ષણ માટે માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડવાનો હતો.
આ પ્રસંગે મંડળના સી.ઈ.ઓ. ડૉ. જે.પી.મજમુદારએ માર્ગદર્શન આપતાં સ્વધર્મ, કર્તવ્યનિષ્ઠા અને માનસિક સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “અમે અમારી જવાબદારી નિભાવતાં અમારો સ્વધર્મ બજાવ્યો છે; હવે આ યોજનાનો લાભ લઈને પોતાના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવાની અને પોતાના કર્તવ્ય પ્રત્યે પ્રતિબદ્ધ રહી પોતાનો સ્વધર્મ બજાવવાનો વારો વિદ્યાર્થિનીઓનો છે.
” તેમણે વિદ્યાર્થિનીઓને ભાનુ સ્કૉલરશિપ દ્વારા મળેલી તકનો મહત્તમ લાભ લેવા તથા કેળવણી મેળવીને સારા આદર્શ નાગરિક બનવા અને ભવિષ્યમાં સમાજ તથા રાષ્ટ્રને ઉપયોગી બનવા પ્રેરિત કર્યા હતા. તેમણે તંદુરસ્ત વ્યક્તિઓ દ્વારા તંદુરસ્ત સમાજના નિર્માણની દિશામાં માનસિક સ્વાસ્થ્યને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.
કૉલેજના આચાર્યશ્રી ડૉ. બલભદ્રસિંહ ચુડાસમાએ પસંદ થયેલ વિદ્યાર્થિનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને ભાનુ સ્કૉલરશિપ દ્વારા મળેલી આ અમૂલ્ય તકનો મહત્તમ લાભ લઈ શૈક્ષણિક તથા વ્યક્તિગત વિકાસ સાધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ડૉ. વિરમભાઈ વાળાએ પણ વિદ્યાર્થિનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યાં હતાં.
કાર્યક્રમના નોડલ ઑફિસર ડૉ. અશોક પુરોહિતે વિદ્યાર્થિનીઓને શુભેચ્છાઓ પાઠવવાની સાથે સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન યોજાનાર ૯૦ કલાકના સર્વાંગી વિકાસ કાર્યક્રમની વિગતવાર રૂપરેખા સમજાવી હતી. તેમણે જણાવ્યું હતું કે કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓના જ્ઞાન, કૌશલ્ય, વ્યક્તિત્વ અને જીવનલક્ષી ક્ષમતાઓના વિકાસ માટે વિવિધ તાલીમ, માર્ગદર્શન અને પ્રાયોગિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વિદ્યાર્થિનીઓને સમગ્ર કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લઈ તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ભાનુ સ્કૉલરશિપ માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત ન રહેતાં વિદ્યાર્થિનીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખતી મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજના દ્વારા વિદ્યાર્થિનીઓમાં આત્મવિશ્વાસ, જવાબદારી, નેતૃત્વ, કૌશલ્ય અને સામાજિક પ્રતિબદ્ધતાનો વિકાસ થાય તેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
ઉદઘાટન કાર્યક્રમ પ્રેરણાદાયી અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.















