અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય સૈન્યએ ગુજરાતના કેટલાક ભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં નિરંતર વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો તાત્કાલિક પ્રતિભાવ કામગીરી હાથ ધરીને, દક્ષિણ કમાન્ડના નેતૃત્વ હેઠળ, 23 જુલાઈ 2026ના રોજ સાંજે માનવતાવાદી સહાય અને આપદા રાહત (HADR) કામગીરીની શરૂઆત કરી હતી.
છેલ્લા ત્રણ દિવસમાં, એન્જિનિયર અને તબીબી ટીમો સહિતની રાહત અને બચાવ ટુકડીઓ, NDRF, SDRF, રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્ર (SEOC)એ, નાગરિક પ્રશાસન અને અન્ય એજન્સીઓ સાથે ગાઢ સંકલનમાં અથાક કાર્યરત રહીને અસરગ્રસ્ત લોકોને સમયસર સહાય પૂરી પાડી હતી.
સૈન્યએ નવસારી, વલસાડ, વાપી, સિલવાસા તેમજ ધોળકા અને રાજોડા સહિત અમદાવાદના પૂરગ્રસ્ત વિસ્તારોમાં, અનેક રાહત અને બચાવ ટુકડીઓ તૈનાત કરી હતી, જ્યારે નવી ઉભી થઈ રહેલી આકસ્મિક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે વધારાની ટુકડીઓને સાબદી રાખવામાં આવી હતી.
સમગ્ર કામગીરી દરમિયાન, સૈનિકોએ જળમગ્ન થયેલા અને દુર્ગમ વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરીને 790 થી વધુ ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તબીબી ટીમોએ જરૂરિયાતમંદોને તાત્કાલિક આરોગ્યસંભાળ પૂરી પાડી હતી, જ્યારે રાહત ટીમોએ અસરગ્રસ્ત રહેવાસીઓને ભોજન, પીવાનું પાણી અને અન્ય આવશ્યક પુરવઠાઓનું વિતરણ કર્યું હતું. સૈન્યના જવાનોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિને ફરી સામાન્ય કરવા માટે નાગરિક પ્રશાસનને પણ મદદ કરી હતી.
આ રાહત ઓપરેશનમાં આંકડાઓ ઉપરાંત, હિંમત, સ્થિતિસ્થાપકતા અને નિઃસ્વાર્થ સેવાની અસંખ્ય પ્રેરણાદાયી ગાથાઓ જોવા મળી. આપદા પ્રતિભાવ એજન્સીઓ, નાગરિક અધિકારીઓ અને સમર્પિત નાગરિક સ્વયંસેવકો સાથે ખભાથી ખભો મિલાવીને કામ કરતા, સૈન્યના જવાનોએ અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં બચાવ કામગીરી હાથ ધરીને, ફસાયેલા લોકોમાં આશા જગાડી હતી અને સમયસર સહાય પૂરી પાડી હતી. આ ઓપરેશને સૈન્ય અને નાગરિકોના સમન્વયનું એક ઉજ્જવળ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે, જેમાં વર્ષોના સંયુક્ત આયોજન, સંકલન અને તૈયારી દેખાઈ આવે છે અને તેને પાયાના સ્તરે અસરકારક કાર્યવાહીમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
આ રાહત ઓપરેશનનું સફળ સંચાલન ફરી એકવાર ભારતીય સૈન્યની રાષ્ટ્ર અને તેના લોકો પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. કટોકટીના સમયે પ્રતિભાવ આપવા માટે હંમેશા તૈયાર, ભારતીય સૈન્ય જ્યારે પણ મદદ માંગવામાં આવે ત્યારે માનવતાવાદી સહાય પૂરી પાડવામાં અડગ ઉભી રહે છે.














