![]()
Image Source: Twitter
India China Ties: ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ભારત સરકાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. પાંચ વર્ષ પહેલાં એટલે કે 2020માં ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ આ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. હવે બંને દેશો વચ્ચેના સંબંધોમાં જામેલો બરફ ધીમે-ધીમે પીગળી રહ્યો છે.
આ મહત્ત્વપૂર્ણ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોમાં ધીમે-ધીમે આવી રહેલી નરમાશના ભાગરૂપે ભરવામાં આવ્યું છે. તાજેતરમાં જ ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ લાંબા સમયથી સ્થગિત થયેલી કૈલાશ માનસરોવર યાત્રાને પણ પુનઃસ્થાપિત કરી દેવામાં આવી છે. વિઝાના આ નવા નિયમો મુખ્ય ચીન, હોંગકોંગ અને મકાઉથી આવતા યાત્રીઓ પર લાગુ થશે.
વિઝા આપવા માટે સામાન્ય પ્રક્રિયાઓનું પાલન થશે
સરકારનો આ નિર્ણય પર્યટન, વેપાર અને બંને દેશોના લોકો વચ્ચે પરસ્પર મેલજોલ વધારવાના પ્રયાસોનો એક ભાગ છે. છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આ પ્રવૃત્તિઓ અટકી પડી હતી. જોકે, વિઝા આપવા માટે સામાન્ય પ્રક્રિયાઓનું પાલન થશે, પરંતુ સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રતિબંધો હજુ પણ લાગુ રહેશે.
આ પણ વાંચો: VIDEO: IPLની મેચ જોવા આવેલા ફેન્સ વચ્ચે છૂટાહાથની મારામારી, એકે તો ચપ્પલવાળી કરી
આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત થશે
નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી બંને દેશો વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત થશે. વ્યાપારી સમુદાયે પણ આ પગલાનું સ્વાગત કર્યું છે. હાલમાં બંને દેશો ધીમે ધીમે પોતાના ભૂતકાળના મતભેદોને પાછળ છોડીને સહયોગની દિશામાં આગળ વધી રહ્યા છે.















