વિશ્વ મલેરિયા દિવસના અવસરે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મંડળની વિવિધ આરોગ્ય એકમો તથા મંડળ રેલ્વે હોસ્પિટલ, ભાવનગરના માધ્યમથી વ્યાપક જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનનો મુખ્ય હેતુ રેલવે કોલોનીઓ, સ્ટેશન પરિસરો તથા સામાન્ય જનતાને મલેરિયા રોગ, તેના કારણો, લક્ષણો, નિવારણ તથા સારવાર વિશે જાગૃત કરવાનો હતો.
આ અભિયાન અંતર્ગત મંડળના મુખ્ય સ્ટેશનો—ભાવનગર પરા, ધોળકા, બોટાદ, વેરાવળ, જૂનાગઢ અને જેતલસર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. આ પ્રવૃત્તિઓમાં ઘર-ઘર જઈ જાગૃતિ ફેલાવવી, પોસ્ટર અને બેનર પ્રદર્શન, પેમ્ફ્લેટ વિતરણ તેમજ વ્યક્તિગત સંપર્ક દ્વારા લોકોને મલેરિયા નિવારણ વિશે માહિતી આપવામાં આવી.
આરોગ્ય કર્મચારીઓએ રેલવે કોલોનીઓમાં જઈ લોકોને સમજાવ્યું કે મલેરિયા એક મચ્છરજન્ય રોગ છે, જે સંક્રમિત માદા એનોફિલિસ મચ્છરના કાટવાથી ફેલાય છે. સાથે જ તાવ, કંપારી, માથાનો દુખાવો, ઉલ્ટી, નબળાઈ અને શરીરમાં દુખાવો જેવા મુખ્ય લક્ષણો વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા.
જાગૃતિ અભિયાન દરમિયાન નાગરિકોને નીચે મુજબની સાવચેતીઓ રાખવાની સલાહ આપવામાં આવી: ઘરમાં અને આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી, કૂલર અને પાણીની ટાંકીની નિયમિત સફાઈ કરવી, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, પૂર્ણ બાંયના કપડાં પહેરવા, લક્ષણો દેખાય તો તરત જ તબીબી તપાસ કરાવવી તેમજ મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે સ્વચ્છતા જાળવવી.
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં પણ દર્દીઓ અને કર્મચારીઓને મલેરિયા નિવારણ, સમયસર તપાસ અને સારવારના મહત્વ વિશે માહિતી આપવામાં આવી. હોસ્પિટલ પરિસરમાં પોસ્ટર અને માહિતી સામગ્રી પ્રદર્શિત કરીને જાગૃતિ વધારવામાં આવી.
ભાવનગર મંડળમાં આયોજિત આ જનજાગૃતિ અભિયાન ખૂબ સફળ અને અસરકારક રહ્યું. તેના માધ્યમથી રેલવે કર્મચારીઓ, કોલોની રહેવાસીઓ અને સામાન્ય જનતા વચ્ચે મલેરિયા વિશે જાગૃતિમાં વધારો થયો તથા સ્વચ્છતા અને બચાવના ઉપાયો અપનાવવાનો મહત્વપૂર્ણ સંદેશ પ્રસર્યો.
“મલેરિયા મુક્ત સમાજ તરફ – જાગૃતિ જ સૌથી મોટું બચાવ છે.”















