![]()
વડોદરા,મકરપુરાની ઇરડા કંપનીમાં કામ કરતા સમયે કરંટ લાગતા ૨૧ વર્ષના યુવકનું કરૃણ મોત થયું છે. મકરપુરા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મકરપુરા વિસ્તારની ઇરડા કંપનીમાં એપ્રેન્ટિસશિપ કરતા હર્ષ શિકરચંદ સાહની, ઉં.વ.૨૧ (રહે. માળી મહોલ્લો, પ્રતાપનગર) ને આજે સવારે સાડા નવ વાગ્યે કંપનીમાં કામ કરતા સમયે કરંટ લાગતા બેભાન થઇ ગયો હતો. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. હર્ષના પિતાનું અગાઉ હાર્ટ એટેકથી મોત થયું હતું. માતા સાથે તે રહેતો હતો. ભાડાના મકાનમાં રહેતા હર્ષ સહાનીએ આઇ.ટી.આઇ. કર્યા પછી આ કંપનીમાં ટ્રેનિંગ શરૃ કરી હતી.
હર્ષના મોત પછી કંપનીમાં સલામતીની કોઇ વ્યવસ્થા નથી, સેફ્ટીની ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરાતું નથી, તેવા આક્ષેપો થયા હતા. મકરપુરા પી.આઇ. એ.એમ. ગોહિલે જણાવ્યું છે કે, અમે કંપનીમાં ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૃ કરી છે. તેમજ સુરક્ષા માટેની ગાઇડલાઇનનો અમલ થતો હતો કે કેમ, તેની પણ તપાસ ચાલી રહી છે. જો બેદરકારી જણાઇ આવશે તો ગુનો દાખલ કરવામાં આવશે.















